GSTના દરમાં ઘટાડો કરવાની જરૂર છે. મધ્યમ વર્ગના લોકો પેટ કાપીને હૉસ્પિટલના તોતિંગ બિલના ડરથી પૉલિસી લેતા હોય છે
મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?
પીનલ વશી
સરકારની અનેક આર્થિક નીતિઓને કારણે આપણા દેશનું નામ આજે વિશ્વમાં ટોચના સ્થાને પહોંચ્યું છે અને આપણો વિકાસ વિશ્વમાં ગાજી રહ્યો છે છતાં આમજનતા આજે પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ દેશની માર્કેટમાં વાજબી ભાવે મળે એ માટે તરસી રહી છે એમ જણાવીને મુંબઈની એક કંપનીમાં માર્કેટિંગ મૅનેજર તરીકે કામ કરતા મીરા રોડના બાવન વર્ષના પીનલ વશી કહે છે, ‘મારા એક મતના બદલામાં હું સરકાર પાસે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે અને એનાથી જીવનજરૂરિયાતની વસ્તુઓ સસ્તી થાય એવી ઇચ્છા રાખું છું. હાલના તબક્કે પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઇઝ ડ્યુટી લાગે છે, પરંતુ એની સાથે સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાગુ કરવો જોઈએ. આ બહુ લાંબા સમયની માગણી છે જેના પર સરકારે જલદી નિર્ણય લઈને મોંઘવારી ઘટાડવા કમર કસવાની જરૂર છે. બીજી જે અગત્યની વસ્તુ છે એ છે જીવન વીમા પૉલિસી તથા હેલ્થકૅર પૉલિસી. આ બન્ને પૉલિસી પર ૧૮ ટકા GST લાગે છે. નવી સરકારે તરત જ અમલમાં આવે એ રીતે એના GSTના દરમાં ઘટાડો કરવાની જરૂર છે. મધ્યમ વર્ગના લોકો પેટ કાપીને હૉસ્પિટલના તોતિંગ બિલના ડરથી પૉલિસી લેતા હોય છે અને મોટું પ્રીમિયમ ભરતા હોય છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકો આજીવિકા માટે ટ્રાવેલિંગ દરમિયાન ઘણા પ્રકારનાં જોખમોનો સામનો કરતા હોય છે. લોકલ ટ્રેનની ગિરદી અને રોડ પર પણ અમુક જોખમ હોય છે. આ માટે લોકો પરિવારની સલામતી માટે જીવન વીમા યોજના હેઠળ પૉલિસી લેતા હોય છે એટલે દરેક પ્રકારની વીમા યોજનાના GSTના દર ઓછા કરવા જોઈએ.’
- રોહિત પરીખ