આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો એની પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમ આરોપી સાથે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમે સોમવારે સાંજે કલ્યાણ ફાટા નજીક છટકું ગોઠવીને ૩.૦૪ કરોડ રૂપિયાનો ૧.૫૨૦ કિલો મેફેડ્રોન પાઉડર જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ૩૦ વર્ષના રિક્ષા-ડ્રાઇવર સલમાન શેખની ધરપકડ કરી હતી. થાણે પોલીસની ડ્રગ્સવિરોધી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે રિક્ષા, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળીને કુલ ૩,૦૫,૦૦,૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે શિળ-ડાયઘર પોલીસ-સ્ટેશનમાં NDPS ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પ્રાથમિક તપાસ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં ૩૧ જુલાઈ સુધીના પોલીસ-રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો એની પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.
પાલઘર જિલ્લામાં ૩ દિવસમાં બીજી વાર હળવા ભૂકંપનો અનુભવ
ADVERTISEMENT
પાલઘર જિલ્લામાં મંગળવારે બપોરે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૩ દિવસમાં આ પ્રદેશમાં બીજા ભૂકંપનો ઝટકો નોંધાયો હતો. મંગળવારે બપોરે ૧.૦૯ વાગ્યે ભૂકંપ નોંધાયો હતો, અેનું કેન્દ્રબિન્દુ પાટીલપાડા ગામમાં હતું.
આ ચોમાસે થાણે જિલ્લામાં ૧૮નાં મોત
૨૨૯ પરિવારો પ્રભાવિત, રાહતશિબિરોમાં આશરે લેવો પડ્યો
થાણે જિલ્લામાં આ મહિને ઘણા દિવસો સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે વિવિધ વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાની અને પૂરની ઘટનાઓ બની હતી. પૂરમાં ૪ લોકો વહી ગયા હતા અને પાણીના સ્રોતોમાં ડૂબી ગયા હતા. થાણે મ્યુનિસપલ કૉર્પોરેશન (TMC)ના અહેવાલ મુજબ તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. ભૂસ્ખલન થવાની, દીવાલ ધરાશાયી થવાની, નદીઓમાં પૂર આવવાની અને વરસાદને કારણે થતી અન્ય આફતો જેવી ઘટનાઓને કારણે ૭૯૭ લોકો સહિત ૨૨૯ પરિવારો પ્રભાવિત થયા છે. તેમને રાહતશિબિરોમાં રાખવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે કુલ ૧૮૭ ઘરો કાં તો સંપૂર્ણપણે તૂટી પડ્યાં છે અથવા આંશિક નુકસાન થયું છે. ભારે વરસાદ અને પવનને કારણે પાંચ ઝૂંપડાં, એક કમ્યુનિટી હૉલ અને એક આંગણવાડી કેન્દ્રને પણ નુકસાન થયું છે. અહેવાલમાં જણાવાયું છે કે પ્રતિકૂળ હવામાન દરમ્યાન જિલ્લામાં ૩ પૉલ્ટ્રી ફાર્મને પણ નુકસાન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને રીસ્ટોરેશન પગલાં ચાલુ રાખી રહ્યું છે.
માહિમમાં મોતનો સ્ટન્ટ
બેજવાબદાર બાઇકર પોતે તો જીવથી ગયો અને સાથે-સાથે મહિલાનો પણ જીવ લીધો
માહિમ કૉઝવે ખાતે સોમવારે રાતે ૯.૩૦ વાગ્યાની આસપાસ બેદરકારીપૂર્વક ખૂબ જ સ્પીડમાં બાઇક ચલાવીને સ્ટન્ટબાજી કરનારા બાઇકરે ૫૦ વર્ષની મહિલાને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ મહિલા ગુરુપૂર્ણિમા ઊજવવા માટે સોલાપુરના અક્કલકોટ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એ જ વિસ્તારમાં આવેલી સાગર સંધ્યા ચાલમાં રહેતા ધ્રુવ ગુરવ નામના બાઇક ચલાવનારનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં ધ્રુવ ગંભીર રીતે ઈજા પામતાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. માહિમ પોલીસે આ મામલે બાઇક-ડ્રાઇવર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
