News In Shorts : ભક્તિની ચરમસીમા, PoPની મૂર્તિઓના વિસર્જન માટે કુલગાવ-બદલાપુર સુધરાઈએ મૂક્યાં અમોનિયમ બાયકાર્બોનેટનાં ડ્રમ, વધુ સમાચાર
દેવેન્દ્ર ફડણવીસ સાથે જે. પી. નડ્ડાએ સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યાં
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન જે. પી. નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાદરના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યાં હતાં. તેમણે મંદિર પરિસર અને યોગી સભાગૃહની મુલાકાત લીધી હતી. વૈદિક અભ્યાસ કરતા અનુયાયીઓએ મંત્રોચ્ચાર સાથે નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત જે. પી. નડ્ડાએ લાલબાગચા રાજા અને અન્ય સાર્વજનિક ગણેશમંડળોમાં પણ દર્શનનો લાભ લીધો હતો.
ભક્તિની ચરમસીમા
ADVERTISEMENT

પ્રયાગરાજમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન વખતે છેલ્લી આરતી-પૂજા દરમ્યાન એક સાધુએ મોંમાં કપૂર સળગાવીને આરતી કરી હતી.
PoPની મૂર્તિઓના વિસર્જન માટે કુલગાવ-બદલાપુર સુધરાઈએ મૂક્યાં અમોનિયમ બાયકાર્બોનેટનાં ડ્રમ
થાણે જિલ્લાના કુલગાવ-બદલાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (KBMC)એ પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણેશમૂર્તિઓના વિસર્જન માટે હવે ખાસ અમોનિયમ બાયકાર્બોનેટના ડ્રમની ગોઠવણ કરી છે. આ પગલું ભરીને PoPની મૂર્તિઓનું વ્યવસ્થિત વિસર્જન પણ થાય અને પર્યાવરણને નુકસાન પણ ન થાય એવો નિર્ણય કુલગાવ-બદલાપુર સુધરાઈએ લીધો છે એટલું જ નહીં, ત્યાર બાદ એ PoP અન્ય ઉપયોગમાં પણ લેવામાં આવશે. આમ ખરેખર પર્યાવરણનું રક્ષણ થઈ શકશે.
KBMCના કમિશનર મારુતિ ગાયકવાડે કહ્યું હતું કે ‘આવો પ્રયોગ મહારાષ્ટ્રમાં કોઈ પણ સુધરાઈ દ્વારા હજી સુધી થયો હોય એવુ જાણમાં નથી. કદાચ આવો આ પહેલો જ પ્રયોગ હશે. અમે બે ડ્રમ રાખ્યાં છે જેમાં PoPની મમૂર્તિઓ પૂરેપૂરી વૈજ્ઞાનિક રીતે ઓગળી જશે. આ પ્રોસેસને કારણે પર્યાવરણનું રક્ષણ થશે એટલું જ નહીં, PoP વેસ્ટને ફરી ઉપયોગમાં પણ લઈ શકાય એવું બનાવવામાં આવશે. આ અમે એક પગલું લીધું છે એ ખરું, પણ અમારો મૂળ ઇરાદો તો પર્યાવરણનું રક્ષણ કરવાનો જ છે.’


