સેન્ટ્રલ રેલવેની ન્યુ યર ગિફ્ટ : 60 સર્વિસ વધશે
મુંબઈ લોકલ
કાયમ ગિરદીનો સામનો કરતાં સેન્ટ્રલ લાઇનના મુસાફરો માટે સારા સમાચાર છે. આ વર્ષે મધ્ય રેલવે પરની વિવિધ લાઇનોમાં રઝળી પડેલું થાણે-દીવા પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાનું કામ પૂરું થવાની શક્યતા છે. આથી આ વિસ્તારના પ્રવાસીઓ માટે રેલવે ૫૦થી ૬૦ સર્વિસ વધારી શકશે.
મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) દ્વારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) હાથ ધરવામાં આવ્યો છે. એમયુટીપી-૨માં થાણે-દીવા પાંચમી, છઠ્ઠી રેલવે લાઇનનું કામ ૨૦૨૦ એટલે કે આ વર્ષે પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે.
ADVERTISEMENT
આ લાઇનથી બહારગામની એક્સપ્રેસ ટ્રેન માટેનો રસ્તો ખુલ્લો થશે, જ્યારે બાકીની ચાર લાઇન લોકલ ટ્રેન માટે વાપરી શકાશે. આથી આ લાઇનો પર ટ્રેન સર્વિસમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. અત્યારના ટાઇમટેબલ પ્રમાણે ૫૦થી ૬૦ ટ્રેન સર્વિસ ઉમેરી શકાશે. આથી આ વર્ષે જ સેન્ટ્રલ લાઇનમાં રહેતા લોકોને ગિરદીમાંથી થોડી રાહત મળવાની શક્યતા ઊભી થઈ છે.
એમઆરવીસી અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસા પહેલાં જ ૭૦ ટકા જેટલું થાણે-દીવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન બેસાડવાનું કામ પૂરું કરી દેવાશે. બાકીનું કામ બાદમાં સેન્ટ્રલ રેલવે દ્વારા હાથ ધરીને પૂરું કરાશે.
આ સિવાય રેલવે દ્વારા આ વર્ષે સેન્ટ્રલ લાઇનમાં એસી અને સેમિ એસી ટ્રેનો વધારવાની યોજના પણ બનાવાઈ છે. આથી ઉનાળાના સમયમાં મધ્ય રેલવે લાઇનમાં રહેતા લોકોને રાહત થશે.