વર્ષના અંતમાં વિદ્યાર્થીઓ એજ્યુકેશન સિસ્ટમની બહાર ફેંકાઈ જશે એવી શક્યતા
સર્વે મુજબ ફક્ત ૬૦ ટકા વિદ્યાર્થીઓનાં ઘરમાં ડેસ્ક ટૉપ કમ્પ્યુટર્સ અથવા લૅપટૉપ છે. એ ઉપરાંત ૩૭ ટકા વિદ્યાર્થીઓનાં ઘરમાં ૮થી ૧૨ કલાક વીજપુરવઠો મળે છે અને ફક્ત ૪૯ ટકા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ છે. પ્રતીકાતમક તસવીર
મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની શિક્ષણવ્યવસ્થા પર અસર વિશે પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ)ના અભ્યાસમાં કેટલાંક મહત્વપૂર્ણ નિરીક્ષણો અને આગાહીઓ નોંધવામાં આવ્યાં હતાં. અભ્યાસમાં ડિજિટલ ક્લાસરૂમ્સ અને કૉલેજો તથા યુનિવર્સિટીઓના છેલ્લા વર્ષની પરીક્ષાઓના ફરજિયાત આયોજનથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને નુકસાનની શક્યતા દર્શાવવામાં આવી હતી. રાજ્યમાં હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં આ વર્ષના અંત સુધીમાં નોંધપાત્ર પ્રમાણમાં વિદ્યાર્થીઓ એજ્યુકેશન સિસ્ટમની બહાર ફેંકાઈ જવાની શક્યતા પીયુસીએલના અભ્યાસમાં દર્શાવવામાં આવી હતી.
ફિલ્મમેકર અને પીયુસીએલનાં સભ્ય સિમંતની ધુરુએ અન્ય સભ્યો ઍડ્વોકેટ લારા જેસાની, સંધ્યા ગોખલે, જૉન ડિસોઝા અને મિહિર દેસાઈની મદદથી અભ્યાસ કરીને તૈયાર કરેલા ૪૮ પાનાંના અહેવાલમાં લૉકડાઉનને કારણે બાળકો અને યુવાનોના અધિકારોને કેવી ગંભીર અસર થઈ છે એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ‘બ્રોકન સ્લેટ્સ ઍન્ડ બ્લૅન્ક સ્ક્રીન્સ ઃ એજ્યુકેશન અન્ડર લૉકડાઉન’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે ફક્ત ૬૦ ટકા વિદ્યાર્થીઓનાં ઘરોમાં ડેસ્ક ટૉપ કમ્પ્યુટર્સ અથવા લૅપટૉપ્સ છે. એ ઉપરાંત ૩૭ ટકા વિદ્યાર્થીઓનાં ઘરોમાં ૮થી ૧૨ કલાક વીજળીનો પુરવઠો મળે છે અને ફક્ત ૪૯ ટકા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ હોવાનું અભ્યાસના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું.