એમ કહીને મરાઠા નેતા મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર સરકાર સામે ૨૯ ઑગસ્ટથી ફાઇનલ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી
મનોજ જરાંગે
મરાઠા સમાજને અનામત મળે એ માટે આંદોલન ચલાવનારા મરાઠા નેતા મનોજ જરાંગેએ તે ૨૯ ઑગસ્ટથી તેમના ગામ અંતરવાલી-સરાટીમાં મહારાષ્ટ્ર સરકાર સામે અંતિમ અને નિર્ણાયક આંદોલન કરશે એમ કહીને બુધવારે સરકારને ચીમકી આપી હતી. જો મહારાષ્ટ્ર સરકાર યોગ્ય દસ્તાવેજો અને પુરાવા ધરાવનારા મરાઠા સમાજના ૫૮ લાખ લોકોને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) કૅટેગરી હેઠળ કુણબી સમાજનાં સર્ટિફિકેટ ન આપે તો ૨૯ ઑગસ્ટથી ફરીથી આંદોલન છેડશે.
તેમણે પોતાના ગામમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ‘ફડણવીસ સરકાર મરાઠાઓને નિશાન બનાવી રહી છે, એટલે આ વખતે અથવા તો હું મરીશ અથવા તો ફડણવીસની સરકાર પડશે. મારું લોહી છેલ્લાં ત્રણ વર્ષથી ઊકળી રહ્યું છે અને એટલા માટે હું મરાઠા સમાજનાં બાળકો માટે હવે અંતિમ આંદોલન કરવા માગું છું. અમારા સંયમને જોઈ અમને મૂરખમાં ન ખપાવતા. આંદોલન દરમ્યાન મરાઠા સમાજની એક પણ વ્યક્તિ ઘરે નહીં બેસી રહે. જો હૈદરાબાદ ગૅઝેટ આપી દીધું છે તો પછી સર્ટિફિકેટ કેમ નથી આપતા?’
ADVERTISEMENT
જોકે આ મુદ્દે સરકાર મનોજ જરાંગે સાથે ચર્ચા કરવા તૈયાર હોવાનું આશ્વાસન પણ તેમને આપવામાં આવ્યું હતું તેમ છતાં મનોજ જરાંગે આખરી વાર લડી લેવા પર મક્કમ રહ્યા હતા.
