બીજેપી-પ્રેરિત બળવાને ડામવા ઉદ્ધવે આડકતરી રીતે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાની ઑફર કરી, પણ થાણેના નેતાએ ટ્વીટ કર્યું કે પક્ષ અને શિવસૈનિકોને ટકાવી રાખવા માટે મહાવિકાસ આઘાડીમાંથી ખસી જવું જરૂરી છે
Maharashtra Political Drama
વર્ષા સાથે સત્તાનેય રામ-રામ? : એકનાથ શિંદેએ બળવો પોકાર્યો એના ૪૮ કલાકમાં જ શિવસેનાના સુપ્રીમો અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાત્રે સત્તાવાર આવાસ વર્ષાને છોડી દીધો હતો. વર્ષાથી માતોશ્રીના નવ કિલોમીટરના રસ્તા પર હજારો શિવસૈનિકોએ મુખ્ય પ્રધાનનું અભિવાદન કર્યું હતું અને વરલી સી-લિન્ક પર ઉદ્ધવ કારની બહાર પણ નીકળ્યા હતા. (તસવીર : આશિષ રાજે)
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પૉલિટિકલ ડ્રામામાં ગઈ કાલે વહેલી સવારે શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચ્યા એના થોડા સમય બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને રાજ્યમાં જે રાજકીય હિલચાલ ચાલી રહી છે એ વિધાનસભા બરખાસ્ત કરવાની દિશામાં હોવાનું કહેતાં એવું લાગ્યું હતું કે શિવસેનાએ એકનાથ શિંદે અને બીજેપી સામે હથિયાર હેઠાં મૂકી દીધાં છે, પણ જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો એમ ઘણા ટર્ન ઍન્ડ ટ્વિસ્ટ આવ્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાની સ્પીચમાં આડકતરી રીતે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાની તૈયારી બતાવ્યા બાદ શરદ પવાર સાથેની તેમની વાતચીતમાં રાષ્ટ્રવાદીના પ્રમુખે પણ સીએમની આ વાત પર મંજૂરીની મહોર મારી હોવાનું કહેવાય છે. જોકે ગઈ કાલે રાત્રે શિવસેના-પ્રમુખ પોતાના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોને છોડીને સામાન સાથે માતોશ્રીમાં રહેવા જતા રહ્યા હતા.
એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાની તેમની ઑફરથી મહાવિકાસ આઘાડી સરકાર બચી જશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે એવું રાષ્ટ્રવાદીના સર્વેસર્વાનું માનવું છે અને આ ઑફરને લીધે બીજેપી પણ ડાઉન ઍન્ડ આઉટ થઈ જશે એવું તેમનું માનવું છે. જોકે આ ઑફરનો કોઈ પણ જવાબ આપવાને બદલે આડકતરી રીતે એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘અમને શિવસેના સામે કોઈ વાંધો જ નથી. અમે તો કૉન્ગેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સાથે સરકારમાં રહેવા નથી માગતા. હિન્દુત્વના મુદ્દે અમારો વિરોધ છે.’
ADVERTISEMENT
સાંજે સાડાપાંચ વાગ્યે ઉદ્ધવ ઠાકરેએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સંબોધન કર્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે ‘બીજાઓ કહે તો ઠીક છે, પણ પક્ષના પોતાના જ લોકો મને મુખ્ય પ્રધાન તરીકે જોવા ન માગતા હોય કે પક્ષપ્રમુખ તરીકે જોવા ન માગતા હોય તો તેઓ મારી સામે આવીને કહે. એક પણ વિધાનસભ્ય પ્રત્યક્ષ રીતે આવું કહેશે તો હું બંને પદ છોડી દઈશ.’
ઉદ્ધવ ઠાકરેએ બળવો કરનારા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ આપવાની ઑફર આપ્યા બાદ ગુવાહાટીમાં પોતાના સમર્થકો સાથે હોટેલમાં પહોંચેલા એકનાથ શિંદેએ આ ઑફરને ઠુકરાવી દેતી ટ્વીટ કરી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે ‘છેલ્લાં અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકારમાં ફાયદો સાથી પક્ષોને જ થયો છે, શિવસૈનિકોની હાલત થઈ છે. સાથી પક્ષો મજબૂત થતા હતા ત્યારે શિવસેનાને રીતસર ખતમ કરવામાં આવી રહી છે. પક્ષ અને શિવસૈનિકોને ટકાવી રાખવા માટે અકુદરતી મહાવિકાસ આઘાડીમાંથી ખસી જવું જરૂરી છે. મહારાષ્ટ્ર માટે હવે નિર્ણય લેવાની અત્યંત જરૂર છે.’
એકનાથ શિંદેએ આવી ટ્વીટ કરીને તેઓ ક્યારેય એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકારમાં સામેલ નહીં થાય એવા સંકેત આપી દીધા હતા.