મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો આવો આક્ષેપ
રાહુલ ગાંધી
લોકસભાના વિરોધ પક્ષના નેતા તથા સંસદસભ્ય રાહુલ ગાંધી પુણેમાં શનિવારે ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં કૉલેજની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધશે. પુણેના રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) ચોક નજીક શ્રી શિવાજી પ્રિપરેટરી મિલિટરી સ્કૂલ (SSPMS)માં યોજાનારા આ કાર્યક્રમને પોલીસે ૩૦ શરતો મૂકીને મંજૂરી આપી છે. જોકે ફક્ત વિદ્યાર્થિનીઓ માટેનો આ કાર્યક્રમ કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા સંચાલિત કૉલેજો હોય એમના સ્ટુડન્ટ્સ માટે જ હોવાનો દાવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ‘આ છાત્રોની ગૂંજ છે કે પછી રાહુલ ગાંધીનો રાજકારણમાં પોતાનું સ્થાન શોધવાનો પ્રયાસ એની જાણ મને નથી. જો તેમણે આ એક ઓપન ઇવેન્ટ રાખી હોત તો બધા જ સ્ટુડન્ટ્સ એમાં ભાગ લઈ શક્યા હોત. ખરેખર તે આ રીતે યુવાઓ સાથે સંવાદ સાધત તો મને આનંદ થાત. જોકે મને માહિતી મળી છે કે કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા સંચાલિત હોય એવી જ કૉલેજોની વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન કરીને તેમને ત્યાં લઈ આવવાની સૂચના આપવામાં આવી છે.’
ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડતા, વાંધાજનક પોસ્ટરો ન લગાડતા
પોલીસ-પ્રશાસને રાહુલ ગાંધીના આ કાર્યક્રમને ૩૦ શરતો મૂકીને મંજૂરી આપી છે. એમાં કાર્યક્રમ દરમ્યાન કોઈ પણ પ્રકારનાં વાંધાજનક પોસ્ટરો, બૅનરો કે ચિત્રોનું પ્રદર્શન નહીં કરવામાં આવે; કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડવામાં આવે; ડ્રોનનો ઉપયોગ નહીં કરાય; વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફી નહીં કરવામાં આવે; આકાશમાં ઊંચે જાય એવી હાઈ-બીમનો ઉપયોગ નહીં કરવામાં આવે જેવી શરતો છે.
