જીવનાવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારા અંગે વિપક્ષે કેન્દ્ર સરકારની ટીકા કરી છે
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે ઈંધણ અને ગૅસના ભાવવધારા વિશે વિપક્ષની ટીકા ફગાવી દઈને એ માટે ઈરાન-અમેરિકા સંઘર્ષને ભાવમાં વધઘટ માટે જવાબદાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચતુરાઈથી પરિસ્થિતિને સંભાળી છે અને અન્ય દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં તેમણે ઈંધણના ભાવને કન્ટ્રોલમાં રાખવા પગલાં લીધાં છે.
જીવનાવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારા અંગે વિપક્ષે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ચીજવસ્તુઓમાં વારંવાર વધારો સામાન્ય માણસ પર બોજ વધારી રહ્યો છે અને એની સરકારે રાજકીય કિંમત ચૂકવવવી પડશે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કહ્યું હતું કે ‘આખી દુનિયા યુદ્ધની પરિસ્થિતિ જાણે છે અને કોઈ પણ દેશ એનાથી અસ્પૃશ્ય રહ્યો નથી. દરેક દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવ વધી રહ્યા છે. ભારતમાં વડા પ્રધાને કિંમતોને કન્ટ્રોલમાં રાખવા ઘણું કર્યું છે. મને લાગે છે કે જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ આવી રહેશે ત્યાં સુધી આવી કેટલીક બાબતો ચાલુ રહેશે, પરંતુ આપણે પહેલાં પણ જોયું છે કે કિંમતોમાં ઘટાડો થયો હતો એટલે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય બદલાશે ત્યારે કિંમતોમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને યોગ્ય સમયે જરૂરી નિર્ણયો લેવામાં આવશે.’
ક્વિન્ટલદીઠ ૩૦૦૦ રૂપિયાનો ટેકાનો ભાવ આપવાની કાંદાના ખેડૂતોએ કરી માગણી
કેન્દ્ર સરકારે કાંદાની ખરીદી પરના નિયમો હળવા કરવાના લીધેલા નિર્ણયનો મહારાષ્ટ્રના અને ખાસ કરીને નાશિકના કાંદાનું ઉત્પાદન કરતા ખેડૂતોએ સ્વાગત કર્યું છે. જોકે સરકાર કાંદા માટે એક ક્વિન્ટલના ૩૦૦૦ રૂપિયા ટેકાનો ભાવ આપે એવી માગણી ખેડૂતોએ કરી છે. નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NAFED) અને નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCCF) દ્વારા પ્રતિ ક્વિન્ટલ કાંદા માટે ૧૫૮૦ રૂપિયા ખેડૂતોને અપાય છે. જોકે એનાથી ઉત્પાદનનો ખર્ચ પણ નથી નીકળતો એવું ખેડૂતોનું કહેવું છે.
નિયમો હળવા થયા હોવા છતાં નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો મહારાષ્ટ્ર સ્ટેટ અનિયન ગ્રોઅર્સ અસોસિએશનના નાશિક જિલ્લાના અધ્યક્ષ જયદીપ ભદાનેએ કર્યો હતો.
