મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
ગઈ કાલે પુણે યુનિવર્સિટીમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ.
પિંપરી-ચિંચવડ સુધરાઈની હદમાં આવતા આળંદીમાં કતલખાનું બનાવવાની જોગવાઈ એના ડેવલપમેન્ટ પ્લાનમાં કરવામાં આવી હતી. જોકે મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરની એ પવિત્ર ભૂમિ હોવાને કારણે લોકોમાં કતલખાના બાબતે ઘણી નારાજગી હતી. હવે આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની જાહેરાત કરી છે.
પુણે યુનિવર્સિટીમાં આયોજિત કરાયેલા યોગના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જે ડેવલપમેન્ટ પ્લાન છે એમાં આળંદી ખાતે કતલખાનાની જોગવાઈ (રિઝર્વેશન) દેખાડવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિમાં આળંદીમાં કતલખાનું બનશે નહીં. મેં જાતે એ રિઝર્વેશન હટાવવાના આદેશ આપ્યા છે. હું આપણા પૂરા વારકરી સંપ્રદાયને આશ્વાસન આપું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં આળંદીમાં કતલખાનું બનશે નહીં.’

