૨૦૨૬ની પહેલી જુલાઈ પહેલાં સ્કૂલોને ૧૯ અનુસૂચિત ભાષાઓમાં છઠ્ઠા ધોરણનાં R3નાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) ૨૦૨૦ અને નૅશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફૉર સેકન્ડરી એજ્યુકેશન (NCF-SE) ૨૦૨૩ હેઠળ નવમા અને દસમા ધોરણ માટે ભાષાપ્રણાલીમાં મોટા ફેરફારો કર્યા છે. બોર્ડે જણાવ્યું હતું કે ૨૦૨૬ની પહેલી જુલાઈથી નવમા અને દસમા ધોરણમાં ૩ ભાષા (R1, R2, R3)નો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે, જેમાંથી ઓછામાં ઓછી બે ભારતીય મૂળની હોવી જોઈએ.
આ મુદ્દે CBSEએ જણાવ્યું હતું કે ૨૦૨૬-’૨૭ શૈક્ષણિક વર્ષ માટે નવમા અને દસમા માટે તાજેતરમાં પ્રકાશિત NCERT અભ્યાસક્રમની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાન શૈક્ષણિક સત્ર એપ્રિલ ૨૦૨૬માં શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ આ નિયમના અમલીકરણ માટે ટ્રાન્ઝિશનલ અભિગમ અપનાવવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષાનો અભ્યાસ કરવા માગે છે તો એને ત્રીજી ભાષા તરીકે ત્યારે જ પસંદ કરી શકાય છે જો અન્ય બે ભાષાઓ ભારતીય હોય. અન્યથા વિદેશી ભાષાનો અભ્યાસ વધારાની ચોથી ભાષા તરીકે કરવો પડશે. આ વ્યવસ્થા ૨૦૨૬-’૨૭ સત્રથી લાગુ કરવામાં આવશે. નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હાલમાં R3નાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી તેથી ૨૦૨૬-’૨૭ આવૃત્તિનાં છઠ્ઠા ધોરણનાં R3 પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવશે. બોર્ડે એ પણ માહિતી આપી હતી કે ૨૦૨૬ની પહેલી જુલાઈ પહેલાં સ્કૂલોને ૧૯ અનુસૂચિત ભાષાઓમાં છઠ્ઠા ધોરણનાં R3નાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
