દીક્ષિત સોલંકીના મૃતદેહના અવશેષો કાલિના સ્ટેટ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીને સોંપવાની સૂચના
દીક્ષિત સોલંકી
ઓમાનના દરિયાકાંઠે શિપ પર ડ્રોન બોટ હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાવિક દીક્ષિત સોલંકીના મૃતદેહની ઓળખ અને સોંપણી મામલે બૉમ્બે હાઈ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે મંગળવારે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઑફ શિપિંગ (DDG Shipping)ને આદેશ આપ્યો હતો કે તેઓ દીક્ષિત સોલંકીના પાર્થિવ અવશેષો તાત્કાલિક કબજે કરીને DNA ટેસ્ટ માટે મુંબઈની કાલિના સ્ટેટ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ને સોંપે.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અણખડની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે DNA ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ એની નકલ દીક્ષિતના પરિવારને પણ પૂરી પાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે ખૂબ ઓછા અવશેષો મળ્યા હોવાથી DNA રિપોર્ટ વગર સોલંકી પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી અને બૉમ્બે હાઈ કોર્ટની મદદ માગી હતી.
ADVERTISEMENT
સોલંકી પરિવારે રિપોર્ટ માટે સમયમર્યાદા નક્કી કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે હાલ એવી કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી નથી, પણ પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચન કર્યું છે. અત્યારે દીક્ષિતના મૃતદેહના અવશેષો એક અન્ડરટેકર પાસે રાખવામાં આવ્યા છે.
