બીએમસી દ્વારા ૫૦૦ જગ્યાએ બ્યુટિફિકેશનનાં કામ પૂરાં થયા પછી ત્યાં લાઇટિંગ કરવામાં આવશે તથા ગેરકાયદે હોર્ડિંગ્સ અને પોસ્ટરો હટાવી લેવામાં આવશે
૫૦૦ જગ્યાએ બ્યુટિફિકેશનનાં કામ પૂરાં થયા પછી ત્યાં લાઇટિંગ કરવામાં આવશે
પ્રજાસત્તાક દિનની ઉજવણીને ધ્યાનમાં લઈને મુંબઈને સાફસુથરું અને સુંદર બનાવવાના પ્રયાસ બીએમસીએ શરૂ કરી દીધા છે. હાલ બીએમસી દ્વારા ૫૦૦ જગ્યાએ બ્યુટિફિકેશનનાં કામ ચાલી રહ્યાં છે એ પૂરાં કરી ત્યાં લાઇટિંગ કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના યોજના હેઠળ બાવન દવાખાનાં ચાલી રહ્યાં છે એમાં ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને બીજાં ૫૦ દવાખાનાંનો વધારો કરીને એની સંખ્યા ૧૦૨ કરવાનો બીએમસીએ આદેશ આપ્યો છે.
બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આ સંદર્ભે બીએમસી હેડક્વૉર્ટરમાં અધિકારીઓની એક ખાસ બેઠક બોલાવી હતી અને ચર્ચા કરી નિર્દેશ આપ્યા હતા, જેમાં બ્યુટિફિકેશન સિવાય મુંબઈને સાફસુથરું રાખવાના પ્રયાસ હેઠળ ગેરકાયદે હોર્ડિંગ્સ અને પોસ્ટરો હટાવી લેવામાં આવશે અને એ લગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. બીજું, મુંબઈના રસ્તાઓની વધુ સારી રીતે સાફસફાઈ કરાશે. દરેક વૉર્ડમાં એક હાઈ-માસ્ટ લૅમ્પ લગાડવાનું કહેવામાં આવ્યું છે. આ હાઈ-માસ્ટ લૅમ્પ રાતે જ્યાં પ્રકાશની વધુ જરૂર હોય એવા વિસ્તારમાં લગાડવાનું જણાવવામાં આવ્યું છે. વધુમાં દરેક વૉર્ડમાં રાત-દિવસ ૨૪ કલાક કાર્યરત હોય એવાં શૌચાલયો બનાવવા કહ્યું છે અને જે શૌચાલયો છે એમની નિયમિત અને યોગ્ય રીતે સાફસફાઈ કરવાનો આદેશ આપ્યો છે. જર્જરિત થઈ ગયેલાં જાહેર શૌચાલયોને તાત્કાલિક ફરીથી બાંધવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
એ સિવાય જે રસ્તાઓ હાલ સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવાઈ રહ્યા છે ત્યાં ટ્રાફિક-પોલીસના સહકાર સાથે કામ કરવાનો આદેશ અપાયો છે જેથી વાહનવ્યવહાર સ્મૂથલી ચાલતો રહે.