સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું કે આ તબક્કે દખલ કરવી ઠીક નથી, આવી અડચણો આવતી રહેશે તો ચૂંટણી કઈ રીતે થશે?
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી નામો દૂર કરવાના મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘મતદારોને મતદારયાદીમાં રહેવાનો અને મતાધિકારનો ઉપયોગ કરવાનો મૂળભૂત અધિકાર છે, પરંતુ માત્ર ચૂંટણી નજીક છે એવાં કારણોસર અમે આ બાબત પ્રત્યે આંખ આડા કાન કરી શકીએ નહીં.’
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જેમનાં નામ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં કપાઈ ચૂક્યાં છે અને તેમની ફરિયાદ અપીલ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે તે મતદાતાઓને મતદાન કરવાની છૂટ નહીં મળે.
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું હતું કે ‘મતદાનના ૧૦ દિવસ પહેલાં આ તબક્કે અમે ચૂંટણીપ્રક્રિયામાં કોઈ દખલ નહીં કરીએ. SIR પ્રક્રિયાને લઈને એમ જ ફરિયાદો આવતી રહેશે તો ચૂંટણી ક્યારે થશે? અમે એવી સ્થિતિ ન ઊભી કરી શકીએ જ્યાં અપીલ ટ્રિબ્યુનલના સદસ્યોને ગૂંચવણમાં મૂકવા નથી માગતી. નહીં તો એક નવો પડકાર ઊભો થઈ જશે.’
વિજયના અંતરથી વધારે મતદાતાઓ વોટ નહીં આપી શક્યા હોય તો દખલ દઈશું
ચૂંટણીનાં પરિણામોમાં દખલ વિશે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણીના પરિણામમાં ત્યારે જ દખલ કરી શકાશે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં મતદારયાદીમાંથી નામ બહાર કરવામાં આવ્યાં હોય અને એ સંખ્યા જીતના અંતરને પ્રભાવિત કરતી હોય. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ ચૂંટણીપંચને કહ્યું હતું કે ‘ધારો કે જીતનું અંતર બે ટકા છે અને ૧૫ ટકા મતદાતા વોટ નથી નાખી શક્યા તો અમારે એના પર વિચારવું પડશે. આ ચિંતાનો વિષય થઈ શકે છે. એવું ન સમજતા કે મતદારયાદીમાંથી બહાર કરવામાં આવેલા મતદાતાઓનો સવાલ અમારા મનમાં નથી.’
