રાયગડ પોલીસનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કોઈ પણ શંકાસ્પદ ઘરે નહોતા

૨૦૦૭ની ૧૮ જુલાઈએ કર્જતના સ્ટુડિયોમાં નીતિન દેસાઈનો ફાઇલ-ફોટોગ્રાફ (તસવીર : નિમેશ દવે)
જાણીતા આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ એડલવાઇસ એઆરસીના કર્મચારીઓ સામે એફઆઇઆર દાખલ કર્યાના ૪૦ દિવસ વીતી ગયા હોવા છતાં આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. રાયગડ પોલીસનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કોઈ પણ શંકાસ્પદ ઘરે નહોતા. વળી તેમના ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવતા હતા.
આરોપીઓએ તેમની વિરુદ્ધ કરવામાં આવેલા એફઆઇઆરને હટાવવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે, પરંતુ એમાં તેમને કોઈ રાહત હાલ પૂરતી મળી નથી. જોકે કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે વધુ વિલંબને કારણે કેસ નબળો થઈ જશે. ૫૮ વર્ષના નીતિન દેસાઈએ આ વર્ષે બીજી ઑગસ્ટે એનડી સ્ટુડિયોમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમનાં પત્નીએ રાયગડ પોલીસમાં એડલવાઇસના અધિકારીઓ સામે ૧૮૧ કરોડ રૂપિયાની લોનને લઈને હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરને મરનારને આપેલી લોનનાં કાગળિયાં જમા કરાવવાનું કહ્યું હતું. જોકે અત્યાર સુધી પૂછપરછના ત્રણ રાઉન્ડ થઈ ચૂક્યા છે, પણ એને ફરીથી સમન્સ મોકલાયા નથી. નિષ્ણાતોના મતે આ કોઈ સામાન્ય કેસ નથી. મરનાર બહુ મોટા દબાણમાં હતા. તમામ મટીરિયલની ચકાસણી બાદ જ એના પરના દબાણ વિશે માહિતી મળી શકશે.
181
એડલવાઇસના અધિકારીઓ સામે આટલા કરોડની લોન માટે સતામણીની ફરિયાદ થઈ છે