સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી આઠ દિવસથી ભાગતા ફરે છે
સંદીપ દેશપાંડે અને એમએનએસના અન્ય કાર્યકરોને નોટિસ મળી હોવા છતાં તેમણે કોમી તંગદિલી ફેલાય એવાં નિવેદનો કરતાં પોલીસ તેમને શોધી રહી છે (તસવીર : આશિષ રાજે)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા સંદીપ દેશપાંડે સામે સદોષ માનવવધની કોશિશ કરવા બદલ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ શિવાજી પાર્ક પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યાને આઠ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી હજી ફરાર છે. સંદીપ તેના પક્ષના સુપ્રીમોના શિવાજી પાર્ક ખાતેના નિવાસસ્થાનેથી ચોથી મેની સવારે એક મહિલા કૉન્સ્ટેબલ અને એક ઇન્સ્પેક્ટરને ઈજા પહોંચાડીને ભાગી છૂટ્યો હતો.
પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેના સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેએ તેમના પક્ષના સભ્યોને જો મસ્જિદમાં લાઉડસ્પીકર્સમાં અઝાન વાગતી સંભાળાય તો લાઉડસ્પીકર્સ પર હનુમાન ચાલીસા વગાડવાની સૂચના આપી હતી.
ADVERTISEMENT
અનિચ્છનીય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસે સંદીપ દેશપાંડે, સંતોષ ધુરી અને સંતોષ સલી સહિતના એમએનએસના કાર્યકરોને પહેલી મેથી નોટિસો પાઠવી હતી.
નોટિસ મળવા છતાં સંદીપ અને અન્ય કાર્યકરો સમુદાયો વચ્ચે તંગદિલી ફેલાય એવાં નિવેદનો કરતા હોવાનો પોલીસનો આરોપ છે. ચોથી મેની સવારે સંદીપ અને અન્ય બે કાર્યકરો રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થ જતા જોવા મળ્યા હતા. સવારે સવાઅગિયાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસ-કર્મચારી તેમને ઝડપી લેવા આગળ વધ્યા હતા. સંતોષ સલીની ધરપકડ કરાઈ હતી, જ્યારે સંતોષ ધુરી અને સંદીપ કારમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેને કારણે કૉન્સ્ટેબલ રોહિણી માલી અને ઇન્સ્પેક્ટર કેશવકુમાર કાસરને ઈજા પહોંચી હતી.
શિવાજી પાર્ક પોલીસે સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી સામે આઇપીસીની કલમ ૩૦૮ (સદોષ માનવવધનો પ્રયાસ), ૨૭૯ (પૂરપાટ વેગે વાહન હંકારવું), ૩૩૬ (અન્યોના જીવને જોખમમાં મૂકતું કૃત્ય આચરવું), ૩૫૩ (સરકારી કર્મચારીને તેની ફરજ બજાવતો અટકાવવા તેના પર હુમલો કરવો) અને ૩૪ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ડીસીપી (ઝોન-૫) પ્રણય અશોકે કહ્યું હતું કે ‘અમે તેમનું પગેરું મેળવવા માટે ટીમોની રચના કરી છે અને તેમને ઝડપી લેવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ.’