તાન્હાજી જોવા આવેલા કૅન્સરના દર્દીઓ માટે લોકોએ સીટ ખાલી કરી આપી
હિન્દમાતા થિયેટરમાં ફિલ્મ જોવા આવેલા દર્શકોની માનવતા
માણસાઈ કોને કહેવાય એનું જીવતુંજાગતું ઉદાહરણ સોમવારે જોવા મળ્યું હતું. દાદરના હિન્દમાતા થિયેટરમાં સોમવારે તાતા હૉસ્પિટલના કૅન્સરના ૪૫ દર્દીઓ એક સંસ્થા દ્વારા આયોજિત ‘તાન્હાજી’ ફિલ્મ જોવા પહોંચ્યા હતા, પણ મિસ-કમ્યુનિકેશનને લીધે બપારે અઢી વાગ્યાનો શો સવારે ૧૦.૩૦ વાગ્યાનો બુકિંગ થઈ ગયો હતો જે પૂરો થઈ ગયો હતો અને અઢી વાગ્યાના શોમાં બુકિંગ ફુલ થઈ ગયું હતું, પણ હિંમત ન હારતાં ફાઉન્ડેશનના મેમ્બરોએ આ બાબતે શો શરૂ થવાની ૧૦ મિનિટ પહેલાં થિયેટરમાં જઈને આ બાબતે લોકોને જણાવ્યું હતું અને શો જોવા બેસેલા લોકોએ સીટ પરથી ઊઠી જઈને આ કૅન્સર પેશન્ટ્સ માટે જગ્યા ખાલી કરી આપી હતી.
ADVERTISEMENT
તાન્હાજી ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકોએ કૅન્સરથી પીડાતાં બાળકો માટે પોતાની સીટ ખાલી કરી આપી હતી.
ડ્રીમ્સ ઍન્ડ હૅપિનેસ ફાઉન્ડેશનનાં હેડ ડૉ. સ્વપ્ના પાટકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘૪૫ કૅન્સર પેશન્ટ્સને અમે ‘તાન્હાજી’ ફિલ્મ જોવા દાદર-ઈસ્ટમાં આવેલા હિન્દમાતા થિયેટર લઈ ગયા હતા. અમે બપોરે અઢી વાગ્યાના શોની ટિકિટ બુક કરાવવાનું કહ્યું હતું, પણ કોઈક ગેરસમજ થતાં સવારે ૧૦.૩૦ વાગ્યાની ટિકિટ બુક થઈ ગઈ હતી અને એ શો પૂરો થઈ ગયો હતો. મેં અને મારા ફાઉન્ડેશનના મેમ્બરોએ થિયેટરની અંદર ચાલુ સ્ક્રીનમાં પહોંચી જઈને ૧૨૦ લોકો બેઠા હતા તેમને વિનંતી કરી હતી કે કૅન્સર પેશન્ટ્સ માટે અમને જગ્યા ખાલી કરી આપો.
આ પણ વાંચો : પિકનિક સાથે જીવદયા અને સાથે જ કંકોતરી પણ વહેંચી
ધીરે-ધીરે આખું થિયેટર ખાલી થઈ ગયું હતું. એમાં મુખ્ય વાત તો એ હતી કે આ ફિલ્મ જોવા માટે એક વૃદ્ધ કપલ આવ્યું હતું તેમણે પણ સીટ પરથી ઊભા થઈને પોતાની સીટ આ કૅન્સર પેશન્ટ્સ માટે ખાલી કરી આપી હતી. આવી માણસાઈ જોઈને ખૂબ સારું લાગ્યું હતું.