Hamas Gaza Chief Mohammad Sinwar Dead: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલી સેનાએ હમાસના ગાઝા વડા અને સંગઠનના નેતા યાહ્યા સિનવારના નાના ભાઈ મોહમ્મદ સિનવારને મારી નાખ્યો છે.
બેન્જામિન નેતન્યાહૂ અને મોહમ્મદ સિનવાર (ફાઇલ તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલી સેનાએ હમાસના ગાઝા વડા અને સંગઠનના નેતા યાહ્યા સિનવારના નાના ભાઈ મોહમ્મદ સિનવારને મારી નાખ્યો છે. આ કાર્યવાહી ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલ નજીક એક સુરંગમાં કરવામાં આવી હતી, જ્યાં ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ હવાઈ હુમલો કર્યો હતો.
પોતાના નિવેદનમાં નેતન્યાહૂએ કહ્યું, "મોહમ્મદ સિનવારને ખતમ કરી દેવામાં આવ્યો છે. તે હમાસની લશ્કરી વીન્ગનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ હમાસ માટે મોટો ફટકો છે, પરંતુ અમારું ઑપરેશન હજી પૂરું થયું નથી." તેમણે ચેતવણી પણ આપી હતી કે ગાઝામાં બંધકોને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, ઑક્ટોબર 2024 માં તેના ભાઈ યાહ્યા સિનવારના મૃત્યુ પછી મોહમ્મદ સિનવારે હમાસનું લશ્કરી અને રાજકીય નેતૃત્વ સંભાળ્યું. 7 ઑક્ટોબર 2023 ના રોજ હમાસના હુમલાનો તે મુખ્ય યોજનાકાર માનવામાં આવતો હતો, જેમાં ઇઝરાયલમાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવ્યા હતા.
અગાઉ, ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં સિનવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, તે સમયે ઇઝરાયલી સંરક્ષણ દળોએ તેની પુષ્ટિ કરી ન હતી. હવે ખુદ પીએમ બેન્જામિન નેતન્યાહૂએ તેની પુષ્ટિ કરી છે. હમાસના રફાહ બ્રિગેડ કમાન્ડર મોહમ્મદ શબાના અને 10 અન્ય સાથીઓ પણ આ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. સાઉદી ચેનલ અલ-હદથ અનુસાર, સિનવારનો મૃતદેહ અને તેના સાથીઓના અવશેષો ટનલમાંથી મળી આવ્યા છે.
જો કે, હમાસે હજી સુધી મોહમ્મદ સિનવારના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ગાઝાના ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં જન્મેલા, મોહમ્મદ ઇબ્રાહિમ હસન સિનવાર ઘણા દાયકાઓ સુધી હમાસમાં કામ કરી આગળ વધ્યો. તેની ગુપ્ત પ્રવૃત્તિઓને કારણે ઇઝરાયલી અધિકારીઓ દ્વારા તેને "શેડો" ઉપનામ આપવામાં આવ્યું હતું. 2006 માં, તે ઇઝરાયલી સૈનિક ગિલાદ શાલિતના અપહરણમાં સામેલ હતો. આ કાર્યવાહીથી 2011 માં કેદીઓની અદલાબદલીનો સોદો થયો.
ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન જેલોમાં વર્ષો વિતાવ્યા પછી, તેણે હમાસના અન્ય નેતૃત્વ કરતાં લોકો સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા અને 1991 માં હમાસના લશ્કરી ચળવળમાં જોડાયો. ઇઝરાયલે અગાઉ સિનવારની હત્યાના અનેક પ્રયાસો કર્યા છે. 2014 માં, હમાસે જાહેરાત કરી કે સિનવાર ઇઝરાયલ-ગાઝા યુદ્ધ દરમિયાન માર્યો ગયો હતો, પરંતુ માહિતી ખોટી સાબિત થઈ.
તાજેતરમાં, હમાસે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલા એક પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે, જેમાં ગાઝામાં ૭૦ દિવસનો યુદ્ધવિરામ અને ૧૦ બંધકોની મુક્તિ સામેલ છે. હમાસના એક પૅલેસ્ટીનિયન અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. આ પ્રસ્તાવના માધ્યમથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના મજબૂત બની છે.


