મારી મજબૂરી છે કે હું ૧૮૨ બેઠક પર એકસાથે ઊભો નથી રહી શકતો : મોદી
ADVERTISEMENT
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ઉશ્કેરણીજનક ભાષણ માટે તો પ્રખ્યાત છે જ પણ ગઈ કાલે તેમણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ૨૬ શહેરમાં આપેલી પોતાની થ્રી-ડી સ્પીચ કદાચ તેમની પૉલિટિકલ કરીઅરની સૌથી ઇમોશનલ અને ભાવનાસભર સ્પીચ પૈકીની એક હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મારી મજબૂરી છે કે હું એક છું અને આપણું સંવિધાન કોઈ એકને ૧૮૨ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાની છૂટ નથી આપતું. જો તમે જિતાડવા માગતા હો, જો તમે મને તમારો હનુમાન બનાવવા માગતા હો તો તમારા એરિયાના બીજેપીના ઉમેદવારનો ચહેરો જોયા વિના ખાલી કમળને વોટ આપી દે જો. તમને ફરિયાદનો ક્યારેય મોકો હું નહીં આપું.’
અગાઉ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં થયેલી થ્રી-ડી જાહેર સભામાં અનેક પ્રકારની ટેક્નિકલ ખામીઓ આવી હતી, પણ ગઈ કાલે થયેલી જાહેર સભામાં એક પણ વખત એવો કોઈ પ્રૉબ્લેમ આવ્યો નહોતો. એવું પણ નહોતું બન્યું કે જેને કારણે લોકો કંટાળીને નીકળી જાય. ગઈ કાલની ૨૬ બેઠકની આ જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ એકસાથે આ બેઠકના અંદાજે ૨૫,૦૦,૦૦૦ લોકોને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમ્યાન તેમણે છવ્વીસેછવ્વીસ શહેરના સ્થાનિક પ્રશ્નો વિશે ટૂંકાણમાં વાત પણ કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ગુજરાતનો વિકાસ એ મારો શ્વાસ છે અને માણસ શ્વાસ વિના રહી શકે નહીં. હું આજે મહિના પછી ફરીથી કહું છું કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. તમે તમારા જૂના દિવસો યાદ કરી લે જો, કોઈએ ખાધું નહીં અને કોઈને તમારા હકનું ખાવા પણ નહીં દીધું હોય.’
મોરબી, ગોંડલ, ઉપલેટા, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, ભાટિયા, જામનગર, જસદણ, અમરેલી, રાજુલા, તળાજા, ભાવનગર, ધ્રાંગધ્રા, લિંબડી, વિરમગામ, ધોળકા, ભરૂચ, ઓલપાડ, નવસારી, વલસાડ, કપરાડા, આહવા, વ્યારા, વાંકલ અને રાજપીપળા.
મોદી આજે ૧૨:૩૯ વાગ્યે ફૉર્મ ભરશે
અમદાવાદની મણિનગર વિધાનસભાના બીજેપીના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વાર ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિજયી મુહૂર્ત ૧૨:૩૯ કલાકે કલેક્ટર કચેરીમાં ઉમેદવારીપત્રક ભરશે.
સતત ત્રીજી વખત ફૉર્મ ભરવા જતાં પહેલાં નરેન્દ્ર મોદી મણિનગરમાં સવારે ૧૧ વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે અને ત્યાર બાદ ફૉર્મ ભરવા જશે. દરમ્યાન ગઈ કાલે અમદાવાદ કલેક્ટર કચેરીમાં ઘાટલોડિયા બેઠક પરથી મહેસૂલપ્રધાન આનંદીબહેન પટેલે ઉમેદવારીપત્રક ભર્યું હતું એવી જ રીતે વટવા બેઠક ઉપર પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ, એલિસ બ્રિજ બેઠક ઉપર બીજેપીના રાકેશ શાહ, ઠક્કરબાપાનગર બેઠક ઉપર વલ્લભભાઈ કાકડિયા, દસક્રોઈ બેઠક માટે બાબુભાઈ જમનાદાસ પટેલ ઉમેદવારીપત્રક ભર્યા હતાં તો કૉન્ગ્રેસમાંથી દાણી લીમડાની બેઠક ઉપર શૈલેશ પરમારે, ઘાટલોડિયાની બેઠક ઉપર રમેશ દૂધવાળાએ, નારણપુરાની બેઠક ઉપર ડૉ. જિતુભાઈ પટેલે ઉમેદવારીપત્રક ભર્યા હતાં.