ગુજરાતમાં ફરવાલાયક જાહેર સ્થળોએ નો એન્ટ્રી
તીથલ બીચ
કોરોનાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ મહિનામાં યોજાતા તમામ લોકમેળા રદ કરાવ્યા છે, પણ ઑગસ્ટમાં ૮થી વધુ સરકારી રજા આવે છે એવા સમયે લોકો જાહેર સ્થળોએ પિકનિક કરવા પહોંચી ન જાય અને ગિરદી ન કરે એવા હેતુથી ગુજરાત સરકાર ગુજરાતનાં જાહેર સ્થળોએ પ્રતિબંધ મૂકવા વિશે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
કોરોના-સંક્રમણ જ્યારે વધી રહ્યું છે ત્યારે લોકો રજાના દિવસોમાં ફરવાનો મોહ રાખે નહીં એવા હેતુથી ગુજરાતનાં ૬૦૦થી વધુ એવાં જાહેર સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે જ્યાં સામાન્ય સંજોગોમાં તહેવાર દરમ્યાન પિકનિક માટે હજ્જારો લોકો ઊમટી પડતા હોય છે.
ADVERTISEMENT
પસંદ કરવામાં આવેલાં સ્થળોમાંથી મોટા ભાગનાં સ્થળો સૌરાષ્ટ્ર-કચ્છનાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જ લોકમેળા યોજાતા હોય છે, જે આ વર્ષે યોજાવાના નથી. બાળકો ઑલરેડી કોરોનાને કારણે ઘરમાં જ છે અને તહેવાર વચ્ચે નોકરી-ધંધામાં પણ રજા આવશે, એવા સમયે લોકો પરિવાર સાથે સવારથી સાંજ પિકનિક કરે એવું લાગતાં ગુજરાત સરકારે આ સંદર્ભે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે. નક્કી થયા પછી સરકાર જે-તે જિલ્લાના કલેક્ટરને સૂચના આપીને એ સ્થળોએ પ્રવેશબંધી જાહેર કરે એવું બની શકે છે.