સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ઉમેરાશે વધુ એક નજરાણું: જરૂરી પૂર્વમંજૂરી બાદ શરૂ કરાશે પ્રવાસીઓ માટે: ક્રૂઝને કરાઈ છે વિશેષ રીતે ડિઝાઇન
રાત્રીના સમયે ક્રૂઝનો નજારો.
ગુજરાતના નર્મદા જિલ્લામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમ પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષાનાં ધોરણોનું પાલન કરીને તેમ જ જરૂરી પૂર્વમંજૂરી મેળવ્યા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે.
નવી ક્રૂઝ નર્મદા નદીમાં પ્રવાસ કરાવશે. આ ક્રૂઝને વિવિધ પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે અેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા કરવામાં આવી છે જેના કારણે સાંજે અને રાત્રે ક્રૂઝ આકર્ષક બની રહેશે. આધુનિક સુવિધાઓ અને વિશાળ ક્ષમતાથી સજ્જ આ ક્રૂઝ એકતાનગરના પર્યટનક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ફરવા આવતા પ્રવાસીઓ આ ક્રૂઝમાં બેસીને નર્મદા નદીના નયનરમ્ય વાતાવરણનો નજારો માણી શકશે. આ ક્રૂઝ પર વિવિધ કાર્યક્રમો પણ યોજી શકાશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ૨૦૦ પ્રવાસીઓની ક્ષમતાવાળી ક્રૂઝનું સંચાલન થઈ રહ્યું છે.
