મ્યાનમાર-થાઇલૅન્ડ સરહદ પર મહારાષ્ટ્રના પચીસ સહિત ૮૦૦ ભારતીયોને બંધક બનાવીને થઈ રહ્યો છે અત્યાચાર
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પચીસ યુવાનો સહિત લગભગ ૮૦૦ ભારતીયોને મ્યાનમાર-થાઇલૅન્ડ સરહદ પર કુખ્યાત ગોલ્ડન ટ્રાએન્ગલ ક્ષેત્રમાં બંધક બનાવવામાં આવ્યા છે. થાઇલૅન્ડમાં આકર્ષક નોકરીઓના વાયદા દ્વારા દર મહિને આશરે ૭૦,૦૦૦ રૂપિયાના પગારની લાલચ આપીને તેમને બોલાવવામાં આવ્યા હતા અને પછી બંદૂકની અણીએ તેમની પાસેથી સાઇબર ફ્રૉડ કરાવવામાં આવે છે. આ કેસની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વટિગેશન (CBI) પણ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર બીડ જિલ્લાના કૈજ તાલુકાના ૨૪ વર્ષના યુવકને ફેસબુક પર જાહેરાત દ્વારા થાઇલૅન્ડમાં ઊંચા પગારવાળી નોકરીનું વચન આપીને ભરતી કરવામાં આવ્યો હતો. ૪ જૂનના રોજ બૅન્ગકૉક પહોંચ્યા પછી તેનું અપહરણ કરીને મ્યાનમાર સરહદ નજીકનાં જંગલોમાં એક સીક્રેટ કૅમ્પમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો પાસપોર્ટ અને અંગત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
યુવકે ત્યાર બાદ તેની પત્નીનો સંપર્ક કર્યો હતો અને ખુલાસો કર્યો હતો કે તેની અને બીજા અનેક લોકો પાસેથી ઑનલાઇન ફ્રૉડનાં કામ કરાવવામાં આવે છે અને દિવસમાં ૧૮ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે સહકાર ન આપે તેને ઇલેક્ટ્રિક કરન્ટ આપે છે અને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. યુવકે એવો પણ દાવો કર્યો હતો કે એ કૅમ્પની અંદર ૩ લોકોની હત્યા તેણે નજર સમક્ષ જોઈ છે.
આ ઘટનાની નોંધ લઈને બીડ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ માટે મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ અને રાજ્ય સરકારની મદદ લઈને ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવાના પ્રયાસ ચાલુ કર્યા છે.
