Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે આખા મુંબઈ શહેરનું ભાડું હતું વર્ષે ૧૦ પાઉન્ડ!

જ્યારે આખા મુંબઈ શહેરનું ભાડું હતું વર્ષે ૧૦ પાઉન્ડ!

05 September, 2020 08:04 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

જ્યારે આખા મુંબઈ શહેરનું ભાડું હતું વર્ષે ૧૦ પાઉન્ડ!

અંગ્રેજોએ બાંધેલો બૉમ્બે કૅસલ અને એની આગળનું બૉમ્બે ગ્રીન

અંગ્રેજોએ બાંધેલો બૉમ્બે કૅસલ અને એની આગળનું બૉમ્બે ગ્રીન


બ્રિટિશ ઢબછબનાં સૌથી જૂનાં મકાનો આજે મુંબઈમાં જોવાં હોય તો ક્યાં જવું પડે? જ્યાં પહેલવહેલું થિયેટર બંધાયું હતું એ બૉમ્બે ગ્રીન વિસ્તારમાં. પોર્ટુગીઝો અને અંગ્રેજો બન્નેને મન મુંબઈનું મહત્ત્વ હતું એક બંદર તરીકે. એક તો બન્ને સાગરખેડુ પ્રજા. બીજું, બન્ને સાહસિક વેપારી પ્રજા, પણ મુંબઈનો વિકાસ કરીને એની સગવડનો પૂરો લાભ લેવાનું પોર્ટુગીઝોથી ન બન્યું. કદાચ મુંબઈનું ખરું મહત્ત્વ પણ તેમના મનમાં વસ્યું નહીં હોય. નહીંતર ગ્રેટ બ્રિટનને લગ્નના દાયજામાં મુંબઈ આપી દે ખરા? તેમણે આ બૉમ્બે ગ્રીન નજીક એક નાનકડો કિલ્લો બાંધેલો. આજે ત્યાં ભારતીય નૌકાસૈન્યનું આઇએનએસ આંગ્રે આવેલું છે. એનો દરવાજો અને બીજા કેટલાક ભાગ એ મુંબઈનાં યુરોપિયન ઢબનાં સૌથી જૂનાં બાંધકામ. આ ઉપરાંત તેમણે મુંબઈમાં બાંધેલાં કેટલાંક ચર્ચ આજે પણ જોવા મળે. ગિરગામ અને દાદરમાં આવેલા ચર્ચને તો આજે પણ લોકો પોર્ટુગીઝ ચર્ચ તરીકે જ ઓળખે છે, પણ ગમે તે કારણે પોર્ટુગીઝોને મુંબઈમાં ઝાઝો રસ નહીં પડ્યો હોય એટલે ૧૬૬૧ના મે મહિનાની આઠમી તારીખે એક સંધિ પર સહીસિક્કા કરીને ગ્રેટ બ્રિટનના ચાર્લ્સ બીજા અને પોર્ટુગલની કુંવરી કૅથેરિન ઑફ બ્રગાન્ઝાના લગ્નપ્રસંગે દાયજામાં આપી દીધું. એ પછી ઠેઠ ૧૬૬૨ના માર્ચની ૧૯ તારીખે અબ્રાહમ શિપમૅનની મુંબઈના પહેલવહેલા બ્રિટિશ ગવર્નર અને જનરલ તરીકે નિમણૂક થઈ. હા જી, એ વખતે ગવર્નરના પદ સાથે જનરલનું પૂંછડું પણ લગાડવામાં આવતું. એ જ વર્ષે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં તેમનાં વહાણોનો કાફલો મુંબઈ આવી પહોંચ્યો, પણ તેમણે જ્યારે મુંબઈ અને સાલ્સેટના ટાપુઓનો કબજો માગ્યો ત્યારે પોર્ટુગીઝ ગવર્નરે રોકડું પરખાવી દીધું કે દાયજામાં ફક્ત મુંબઈનો ટાપુ આપ્યો છે અમે, સાલસેટ નહીં. ભાગતા ભૂતની દુમ સહી એ ન્યાયે શિપમૅનસાહેબે કહ્યું કે એમ તો એમ. પણ પોર્ટુગીઝ ગવર્નર પહોંચેલી માયા. તેમણે દાયજાના કરારમાં વાંધાવચકા કાઢ્યા અને મુંબઈના ટાપુનો કબજો આપવાની પણ ઘસીને ના પાડી દીધી. અને આ બધી વાટાઘાટ

કરવા માટે તેમણે બ્રિટિશ ગવર્નર શિપમૅનને પોર્ટુગીઝ કિલ્લામાં દાખલ પણ થવા દીધા નહોતા. કિલ્લાની બહાર એટલે કે બૉમ્બે ગ્રીન વિસ્તારમાં જ ક્યાંક વાતચીત કરીને તગેડી મૂકેલા. બિચારા આજના ગોવા નજીકના એક ટાપુ પર જઈને વસ્વા અને ૧૬૬૪ના ઑક્ટોબરમાં  ત્યાં જ મર્યા! હમ્ફ્રી કુક બીજો બ્રિટિશ ગવર્નર. ૧૬૬૪ના નવેમ્બરમાં આવીને કહ્યું કે ભલે, ફક્ત મુંબઈનો ટાપુ તો મુંબઈનો ટાપુ, પણ એ તો હવે આપો જ આપો. પોર્ટુગીઝોએ આપવો પડ્યો. કુક પછી બીજા બે ગવર્નર આવ્યા, લુકાસ અને ગૅરી, પણ બન્નેએ ખાસ કશું ઉકાળ્યું હોય એવી માહિતી મળતી નાથી.



બ્રિટિશ તાજને પણ મુંબઈનું મહત્ત્વ ઝાઝું સમજાયું નહીં હોય એટલે વરસના રોકડા ૧૦ પાઉન્ડના ભાડાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પધરાવી દીધું. આ લખાય છે એ દિવસના ભાવ પ્રમાણે ૧૦ પાઉન્ડ એટલે ૯૭૬ રૂપિયા અને ૩૪ પૈસા! આજે આટલા પૈસામાં મુંબઈમાં એક ઇંચ જગ્યા પણ કોઈ ભાડે ન આપે. ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩મીએ મુંબઈના ટાપુઓનો કબજો કંપની-સરકારને સોંપવામાં આવ્યો. એ વખતે હજી બૉમ્બે પ્રેસિડન્સીનું અસ્તિત્વ નહોતું. હતી વેસ્ટર્ન એજન્સી અને એનું વડું મથક હતું સુરત એટલે શરૂઆતમાં મુંબઈના ગવર્નરને સાથોસાથ સુરતની કાઉન્સિલના પ્રેસિડન્ટનો હોદ્દો પણ અપાતો અને તેઓ મુંબઈ કરતાં વધુ સમય સુરતમાં જ ગાળતા! મુંબઈનો વહીવટ ડેપ્યુટી ગવર્નર સંભાળતા.


મુંબઈનું મહત્ત્વ પહેલી વાર વસ્યું કંપની-સરકારના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્જિયાર (૧૬૪૦-૧૬૭૭)ના મનમાં. ૧૬૬૯ના જુલાઈની ૧૪મીએ તેમણે હોદ્દો સંભાળ્યો અને ૮ વર્ષ સુધી અને ૧૬૭૭ના જૂનની ૩૦મીએ અવસાન પામ્યા ત્યાં સુધી એ પદે રહ્યા. કમનસીબે તેમનો એક પણ ફોટો કે સ્કૅચ ક્યાંય સચવાયા નથી. મુંબઈને જોઈને તેઓ બોલી ઊઠેલા ઃ ‘પરમકૃપાળુ પરમાત્માની સહાયથી સતત વિકસવાને જ સર્જાયું છે આ શહેર.’ આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી વેપારીઓને, શાહુકારોને, કારીગરોને તેઓ મુંબઈ લઈ આવ્યા. તેમણે અહીં પહેલી અદાલત સ્થાપી, ભંડારી કોમના ૬૦૦ યુવાનોને ભેગા કરીને સ્થાનિક લશ્કરની ટુકડી ઊભી કરી, જેનો વખત જતાં ‘મુંબઈ પોલીસ’ તરીકે વિકાસ થયો. પોર્ટુગીઝ ગવર્નરોની જેમ ઓન્જિયાર પણ ‘બૉમ્બે કૅસલ’માં રહ્યા, પણ એના ખખડધજ કિલ્લાને તેમણે સમારીને વધુ મજબૂત બનાવ્યો અને થોડો મોટો કરાવ્યો. આ બૉમ્બે કૅસલની બહારની ખુલ્લી હરિયાળી જગ્યા એ જ બૉમ્બે ગ્રીનની શરૂઆત. અને હા, તેમણે જ પહેલી વાર લંડનના ડિરેક્ટરોને સૂચવ્યું કે કંપની-સરકારનું પશ્ચિમ કિનારાનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડવું જોઈએ. તેમના અવસાનનાં ૧૦ વરસ પછી ૧૬૮૭માં અ સૂચન સ્વીકારાયું અને વેસ્ટર્ન પ્રેસિડન્સીનું સ્થાન લીધું બૉમ્બે પ્રેસિડન્સીએ. તેમને એ વાતનો પણ ખ્યાલ આવી ગયો કે વેપાર-વણજનો વિકાસ કરવો હોય તો મુંબઈમાં ટંકશાળ હોવી જોઈએ એટલે ૧૬૭૬માં તેમણે મુંબઈમાં મિન્ટની સ્થાપના કરી, પણ માણસ હતો ચતુર-સુજાણ. એટલે સિક્કા પાડ્યા એ કંપની-સરકારના નામના નહીં, મોગલ બાદશાહના નામના. ૧૬૭૨માં આ મિન્ટમાંથી પહેલો રૂપિયાનો સિક્કો બહાર પડ્યો. જોકે આજે ૧૭૧૯ પહેલાંનો આ મિન્ટનો કોઈ સિક્કો જોવા મળતો નથી. આ પહેલી મિન્ટ બૉમ્બે કૅસલની અંદર હતી એટલે કે બૉમ્બે ગ્રીન નજીક જ હતી. આજે મિન્ટનું જે મકાન આ જ વિસ્તારમાં

ઊભું છે એ ૧૮૨૪ અને ૧૮૩૦ દરમ્યાન બંધાયું હતું. તો મુંબઈમાં પહેલી વખત ફાંસીની સજા આપવાનું અને એનો અમલ કરાવવાનું કામ


પણ ઓન્જિયારે જ કરેલું. ૧૬૭૪માં અંગ્રેજ સૈનિકોએ બળવો કર્યો. ઓન્જિયારે તેને કડક હાથે દાબી દીધો અને પૉર્પોરલ ફેકને ફાંસીની સજા ફરમાવી. ૧૬૭૪ના ઑક્ટોબરની ૨૧મીએ ગોળી મારીને તેમને થયેલી દેહાંતદંડની શિક્ષા બજાવવામાં આવી.

મુંબઈના મુખ્ય ટાપુ પર ગોદીવિસ્તારથી ડોંગરી સુધી કિલ્લો બાંધવો જોઈએ એવું પણ તેમણે જ સૂચવ્યું. જોકે મુંબઈનો કિલ્લો બાંધવાનું કામ પૂરું થયું છેક ૧૭૧૫માં, જ્યારે ચાર્લ્સ બૂન મુંબઈના ગવર્નર બન્યા ત્યારે. એ કિલ્લો બંધાઈ રહ્યો ત્યારે બૉમ્બે ગ્રીન્સનો વિસ્તાર એનો એક મહત્ત્વનો હિસ્સો બની રહ્યો. ઓન્જિયાર પછીનાં ઘણાં વર્ષો નાની-મોટી લડાઈઓમાં વીત્યાં. એકબે ગવર્નરો તો દુશ્મનોને હાથે કેદ પણ પકડાયા. ૧૭૧૫માં બૂન્સ ગવર્નર બન્યા અને મુંબઈના સંરક્ષણની દૃષ્ટિએ કિલ્લો બાંધવાનું ઓન્જિયારનું સૂચન કેટલું મહત્ત્વનું હતું એ તેમને સમજાયું. તેમના શાસન દરમ્યાન જ મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો બંધાઈને પૂરો થયો. આજે એ કિલ્લાનું નામોનિશાન નથી, પણ એક આખો વિસ્તાર હજી પણ ફોર્ટ કે કોટ તરીકે જ ઓળખાય છે. તેમણે જ બૉમ્બે ગ્રીન પર ૧૭૧૮માં સેન્ટ થોમસ કેથીડ્રલ બંધાવ્યું જે મુંબઈનું પહેલું એન્ગ્લિકન ચર્ચ. ત્યારથી બૉમ્બે ગ્રીન વિસ્તારમાં આવેલા આ ચર્ચને મુંબઈનું મધ્યબિંદુ ગણવાનું શરૂ થયું. છેલ્લાં થોડાં વર્ષોમાં ખોદકામ દરમ્યાન મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી કેટલાક માઇલ સ્ટોન મળી આવ્યા છે જેના પર મધ્યબિંદુથી એ જગ્યાનું અંતર કેટલું છે એ બતાવ્યું છે.   

વખત જતાં લાગ્યું કે ગવર્નર બૉમ્બે કૅસલમાં રહે એ યોગ્ય નથી એટલે ૧૭૫૭માં અપોલો સ્ટ્રીટ પર આવેલું જૉન સ્પેન્સરનું મકાન સરકારે ખરીદી લીધું અને ગવર્નર ત્યાં રહેવા ગયા. શરૂઆતમાં એ ‘ન્યુ હાઉસ’ તરીકે અને પછી ‘કંપની હાઉસ’ તરીકે ઓળખાતું. આ મકાન પણ બૉમ્બે ગ્રીન વિસ્તારમાં હતું. ૧૭૭૧માં વિલિયમ હૉર્નબી મુંબઈના ગવર્નર બન્યા ત્યારે તેમણે ગવર્નરનું રહેઠાણ પરેલ ખસેડ્યું અને બોમ્બૉ ગ્રીન્સ થોડું ઝંખવાયું.

જોકે પછી ૧૮૧૧માં બૉમ્બે ગ્રીન પર એક આકર્ષક ઇમારત બાંધવાનું નક્કી થયું. લૉટરી કાઢીને એને માટે પૈસા ભેગા કર્યા, પણ માત્ર ૧૦,૦૦૦ રૂપિયા ભેગા થયા. જેવા પ્લાન બનાવ્યા હતા એવું ભવ્ય મકાન આટલી રકમમાંથી ઊભું થાય એમ નહોતું એટલે આ મકાન બાંધવાનું ઠરાવનાર લિટરરી સોસાયટી ઑફ બૉમ્બેએ નક્કી કર્યું કે માત્ર પોતાના ઉપયોગ માટેનો લાઇબ્રેરી અને મ્યુઝિયમનો ભાગ જ બાંધવો. ૧૮૦૪માં સ્થપાયેલી આ સોસાયટી એ આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા. પોતાની પાસેના ૧૦,૦૦૦ ખર્ચાઈ ગયા પછી સોસાયટીએ સરકાર પાસે

મદદ માગી. સરકાર ગમે ત્યાંની હોય, ગમે ત્યારની હોય, મોટે ભાગે એ ચાલે છે ગોકળ ગાયની ગતિએ. એટલે ટાઉન હૉલની આખી ઇમારત છેક ૧૮૩૩માં બંધાઈ રહી!

બૉમ્બે એન્જિનિયર્સના કર્નલ થોમસ કૉપરે આ ઇમારતની ડિઝાઇન બનાવી હતી. નિયોક્લાસિકલ સ્ટાઇલનું આ મકાન આખા વિસ્તારમાં આજે પણ અલગ તરી આવે છે. એનાં પગથિયાં અનેક ફિલ્મ, ટીવી-સિરિયલ, જાહેરખબર વગેરે માટે વપરાયાં છે.

જેમ-જેમ મુંબઈના બંદરનો વિકાસ થતો ગયો એમ મુંબઈના વેપારવણજ વધતા ગયા. ડૉક (ગોદી) નજીકના બૉમ્બે ગ્રીનમાં મજૂરો, વેપારીઓ, શાહુકારો, આડતિયાઓ વગેરેની અવરજવર વધતી ગઈ. તેમના કામકાજને મદદરૂપ થાય એવી નાની-મોટી કચેરીઓ શરૂ થઈ, પણ છેક ૧૮૪૦ સુધી શાહુકારોની ધીરધાર પર જ વેપારનો બધો મદાર હતો એટલે ઘણી સગવડનો અભાવ હતો. આવી જ સ્થિતિ મદ્રાસ અને કલકત્તાની પણ હતી. એટલે કંપની-સરકારે આ ત્રણેય શહેરમાં બૅન્ક શરૂ કરવાનો ઠરાવ કર્યો. સૌથી પહેલાં કલકત્તામાં બૅન્ક શરૂ થઈ. એ પછી ૧૮૪૦ના એપ્રિલની ૧૫મીએ ધ બૅન્ક ઑફ બૉમ્બે અસ્તિત્વમાં આવી. આજની ભાષામાં કહીએ તો આ બૅન્ક PPP મૉડલ પર શરૂ થઈ હતી. એની કુલ થાપણમાં ૮૦ ટકા હિસ્સો લોકોનો હતો, માત્ર ૨૦ ટકા સરકારનો હતો. આ બૅન્કને ચલણી નોટ છાપવાની પણ સત્તા સરકારે આપી હતી અને એ પ્રમાણે બૅન્ક નોટ છાપતી પણ ખરી, પણ પછી અમેરિકન સિવિલ વૉર દરમ્યાન જ્યારે રૂની ધૂમ નિકાસ થવા લાગી અને વેપારીઓની માગને પહોંચી વળવા ત્રણે બૅન્કો આડેધડ નોટો છાપવા માંડી ત્યારે સરકારે એ હક પાછો લઈ લીધો. અમેરિકન સિવિલ વૉર અણધારી રીતે પૂરી થતાં રૂનો વેપાર અને શૅરબજાર  કડડડભૂસ થયાં. બૉમ્બે બૅન્ક ફડચામાં ગઈ, પણ ૧૮૬૮માં એની રાખમાંથી ધ ન્યુ બૅન્ક ઑફ બૉમ્બે ઊભી થઈ. ૧૮૪૦માં શરૂ થયેલી આ બૅન્કની હેડ ઑફિસ બૉમ્બે ગ્રીનથી થોડે દૂર રામપાર્ટ રો પર આવી હતી. અંગ્રેજી શબ્દ રામપાર્ટનો અર્થ થાય છે કિલ્લાની દીવાલ. આજે એ રસ્તાનું નામ છે ખુશરુ દુબાશ માર્ગ. રામપાર્ટ રો નામ પડ્યું એ પહેલાં આ રસ્તાનું નામ હતું રોપ વૉક સ્ટ્રીટ. કારણ, અહીં વર્ષો સુધી દોરડા બનાવવા માટેની કાથીના ઢગલેઢગલા અને તૈયાર થયેલા દોરડાનાં ગૂંચળાં પડ્યાં રહેતાં. એ વખતે હજી ‘પાલ’ એટલે કે શઢવાળાં વહાણોનો જમાનો હતો એટલે મુંબઈ આવતાં-જતાં વહાણોને અને બંદરને પણ દોરડાંનો પુષ્કળ ખપ રહેતો.

અંગ્રેજોએ બાંધેલા મુંબઈના કિલ્લાની અંદર દરિયા અને બંદરની નજીક આવેલો લીલોછમ વિસ્તાર એ બૉમ્બે ગ્રીન, પણ પછી એનું નામ બે વખત બદલાયું. એ બદલાતાં નામ-રૂપ-રંગની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2020 08:04 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK