બેંગલુરુમાં હિંસા: ફાયરિંગમાં 3ના મોત, 60 ઘાયલ, શહેરમાં કલમ 144 લાગુ
તસવીર સૌજન્ય: એએનઆઈ
કર્ણાટકના પાટનગર બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં મંગળવાર મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા ભડકી ગઈ. આ દરમિયાન ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયાના અહેવાલ છે. જ્યારે 60થી વધુ પોલીસકર્મી ઘાયલ હોવાનું કહેવાય છે. ઉત્તર બેંગલુરુના પુલકેશી નગર વિધાનસભા સીટથી કૉંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના એક કથિત સંબંધીએ પૈગંબર મોહમ્મદને લઈને સોશ્યલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરી હતી. જેની પ્રતિક્રિયામાં હિંસા થઈ હતી.
એનએનઆઈ મુજબ, કૉંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના એક કથિત સંબંધીએ પૈગંબર મોહમ્મદને લઈને સોશ્યલ મીડિયા પર કરેલી અપમાનજનક પોસ્ટ વાયરલ થયા બાદ લઘુમતી સમુદાયના સભ્યો એક સ્થળે એકત્ર થયા અને કૉગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીવાસ્તવ મૂર્તિના ઘર પર પથ્થરો ફેંક્યા. ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. અનેક ગાડીઓને આગ લગાડી દેવામાં આવી હતી. તેમજ પોલીસ પર પથ્થરમારો અને બોટલોથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પોતાને ધારાસભ્યનો ભત્રીજો કહેવડાવતા નવીન નામના યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે યુવકે દાવો કર્યો કે તેનું ફેસબુક એકાઉન્ટ હૅક થઈ ગયું હતું. તેણે આપત્તિજનક પોસ્ટ નથી કરી, જેમાં કથિત રીતે પૈગંબરના અપમાનની વાત કહેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બેગલુરુના પોલીસ કમિશ્નર કમલ પંતે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે, પોલીસે કરેલા ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે. હિંસામાં એડિશન પોલીસ કમિશ્નર સહિત 60 પોલીસકર્મી ઘાયલ થયા છે. બેંગલુરુમાં CRPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધી 110 લોકોની અટકાયત કરવામાં આવી છે.
એટલું જ નહીં આ હિંસા બાદ, ધારાસભ્ય મૂર્તિએ એક વીડિયો મેસેજ જાહેર કરીને લોકોને સંયમ રાખવાની અપીલ કરી. ધારાસભ્યએ કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે કેટલાક ઉપદ્રવીઓની ભૂલના કારણે આપણે હિંસામાં સામેલ ન થવું જોઈએ. લડવા-ઝઘડવાની કોઈ જરૂર નથી. આપણે સૌ ભાઈ છીએ. આપણે કાયદા અનુસાર દોષીઓને સજા અપાવીશું. અમે પણ આપની સાથે છીએ. હું મારા દોસ્તોને શાંતિ રાખવાની અપીલ કરું છું.