પરમિટ વગર કોઈને દારૂ નહીં પીરસવાનો
ક્રિસમસના તહેવારો દરમ્યાન દારૂ પીવાની પરમિટ ન હોય એવા ગ્રાહકોને દારૂ ન પીરસવા માટે થાણે પોલીસે બાર-માલિકોને તાકીદ કરી છે. ક્રિસમસના તહેવાર અને ન્યુ યરની પાર્ટીમાંથી દારુ પીધા બાદ ડ્રાઇવિંગ કરનારાઓને સખત મેસેજ આપવાના ઉદ્દેશથી પોલીસ હવે બાર-માલિક સામે પણ પગલાં લેવાનું વિચારે છે.
શુક્રવારે થાણે પોલીસે થાણે, કલ્યાણ, ડોમ્બિવલી અને ઉલ્હાસનગરના આશરે ૯૦ બાર- માલિકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસે કેટલીક ગાઇડલાઇન્સ આપી હતી. બારમાં વાહન લઈને આવેલો કસ્ટમર દારૂ પીધા બાદ બહાર નીકળે ત્યારે તેની સાથે ડ્રાઇવર છે કે નહીં એ જોવાની જવાબદારી બાર-માલિકની રહેશે. તેણે જ ખાતરી કરવી પડશે કે ડ્રાઇવરે દારૂ પીધો નથી. કસ્ટમર સાથે ડ્રાઇવર ન હોય તો તેને રિક્ષા કે ટૅક્સી કરી આપવાની જવાબદારી પણ બાર માલિકની રહેશે. શક્ય હોય ત્યાં વૈકલ્પિક ડ્રાઇવરની પણ વ્યવસ્થા કરવાની રહેશે. બારમાંથી નીકળીને જો કોઈ ઍક્સિડન્ટ કરે તો સંબંધિત બારનું લાઇસન્સ રદ કરવામાં આવશે. મુંબઈ પોલીસ પણ આવી બેઠક મુંબઈમાં આવેલા બાર માલિકો સાથે કરવાની છે.