અમને સત્તા મળી તો દરેક ગરીબના ખાતામાં પૈસા હશે: રાહુલ ગાંધી
પટનામાં રાહુલ ગાંધી.
કોંગ્રેસે 28 વર્ષો પછી રવિવારે પટનાના ગાંધી મેદાનમાં જન આકાંક્ષા રેલી કરી. તેમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસની સાથે વિપક્ષની એકતા અને બિહારમાં મહાગઠબંધનની તસવીર દર્શાવવાનો પ્રયત્ન કર્યો. રાહુલે કહ્યું કે મોદીજીએ જનતાને મોટાં-મોટાં વચનો આપ્યાં છે. ચોકીદાર જ્યાં જાય છે, ચોરી કરે છે. એટલે અહીંના ગઠબંધનના તમામ નેતા બિહારમાંથી ભાજપ અને નીતિશ કુમારને હટાવવા જઈ રહ્યા છીએ. રેલીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. કોંગ્રેસ પર સાથીઓને એક કરવાની જવાબદારી છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, "મોદીજીએ બજેટમાં ખેડૂતોને દરરોજના 17 રૂપિયા આપ્યા, પરંતુ વિજય માલ્યાને 10 હજાર કરોડ રૂપિયા આપો છો. મોદીજી અચાનક ટીવી પર આવ્યા અને કહ્યું કે કાળુંનાણું ખતમ કરવું છે એટલે મોટી નોટ નહીં ચાલે. 2000ની નોટ ચાલશે. લોકોને બેંકની સામે ઊભા કરી દીધા. મહિલાઓએ પૈસા બચાવીને રાખ્યા હતા, તે બેંકમાં નખાવી દીધા. તમારા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને નીરવ, માલ્યા જેવા લોકોના ખિસ્સામાં નાખી દીધા."
ADVERTISEMENT
રાહુલે કહ્યું, "મોદીજીએ દેશમાં નવી ફેશન ચલાવી છે. ખેડૂત પોતાના ખિસ્સામાંથી વીમા માટે પૈસા આપે. ખબર મળી કે તે પણ અનિલ અંબાણી અને નીરવ મોદીના ખિસ્સામાં જતા રહે છે. પહેલી હરિયાળી ક્રાંતિ હરિયાણા અને પંજાબમાં થઈ હતી. બીજી ક્રાંતિ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં થશે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી તો અમે આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરીશું. મોદીજી ભલે ગમે તેટલા ભાષણ આપો, ખેડૂતો જવાબ આપશે. કોંગ્રેસ બેકફુટ પર નહીં ફ્રંટફુટ પર રમવા જઈ રહી છે. અમે છક્કો મારીશું."
આ પણ વાંચો: કોંગ્રેસને ચૂંટણી પહેલા જ દેવાંમાફીનો વિચાર આવે છે: કાશ્મીરમાં મોદી
રાહુલે કહ્યું, "નાલંદા વિશ્વવિદ્યાલયમાં આખી દુનિયામાંથી લોકો શિક્ષણ માટે આવતા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારે આ માટે કશું નથી કર્યું. પટનાની જનતા એક વચન સાંભળી લે. કોંગ્રેસની સરકાર આવશે તો પટના વિશ્વવિદ્યાલયને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો મળશે. આજે બિહાર બેરોજગારીનું સેન્ટર છે. અહીંયાનો યુવાન આખા દેશમાં ચક્કર કાપે છે. તેઓ ગુજરાત જાય છે તો કહેવામાં આવે છે કે પાછા જાઓ અહીંયા કામ નથી."