પુલવામા હુમલો: સેનાની ચેતવણી, આતંકીઓને મદદ કરશો તો છોડવામાં નહી આવે
સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
પુલવામા આતંકી હુમલામાં ભારતીય સેનાનાં 40 જેટલા જવાન શહીદ થયા હતા. એટલું જ નહી સોમવારે થયેલી મુઠભેડમાં 4 જવાનો શહીદ થયા હતા. આ મુઠભેડમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ મારફતે સેનાએ ચેતવણી આપી છે. સેનાએ કહ્યું હતું કે, જે આતંકીઓની મદદ કરશે તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. આ સાથે તેમને સહકારનો આગ્રહ પણ રાખ્યો હતો. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન અને સેના પર થતા પથ્થરમારા બાબતે સેનાએ જનતાને ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
CRPFના આઈજી જુલ્ફીકાર હસને કહ્યું હતું કે, 'અમારી હેલ્પલાઈન 14411 આતંકી હુમલા મામલે દેશભરમાં કાશ્મીરીઓને મદદ કરશે. દેશભરના ઘણા વિસ્તારોથી કાશ્મીરી વિદ્યાર્થીઓએ મદદ માગી છે. કાશ્મીરથી બહાર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.'
જમ્મુ કાશ્મીરના આઈજી પોલીસ એસપી પાણીએ કહ્યું હતું કે, 'આતંકીઓની ભરતીમાં ઘટાડો થયો છે. છેલ્લા 3 મહિનામાં કોઈ પણ આતંકી ભરતી કરવામાં આવી નથી. કાશ્મીર પરિવારો મહત્વની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે અને અમારો આગ્રહ છે કે, તે આતંકી ભરતીઓ રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે.'