નરેન્દ્ર મોદીએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
ADVERTISEMENT
વેલ ડન : ગઈ કાલે પુનનિર્મિત સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવી પહોંચેલા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં નીતા અને મુકેશ અંબાણી. આ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કોકિલાબહેન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, સચિન અને અંજલિ તેન્ડુલકર તથા આમિર ખાન અને કિરણ રાવ પણ ઉપસ્થિત હતાં.
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાદા પરંતુ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં એક અદ્યતન મેડિકલ સર્વિસ સ્વરૂપે મુંબઈ શહેરને સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર અર્પણ કર્યું હતું. આ અદ્યતન હૉસ્પિટલમાં ૩૪૫ બેડની સગવડ છે. ૯૦ વર્ષ જૂની આ હૉસ્પિટલનું પુનનિર્માણ રિલાયન્સ ફાઉન્ડેશને નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ કર્યું છે.
વડા પ્રધાનને આવકારતાં નીતા અંબાણીએ કહ્યું હતું કે આ હૉસ્પિટલ માટે અમે શ્રેષ્ઠ ડૉક્ટરો મેળવી શક્યા છીએ અને એમાં અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને દુનિયાભરના કાબેલ ડૉક્ટરોનો સમાવેશ છે.
નીતા અંબાણીએ આ પ્રસંગે વડા પ્રધાનને અનુરોધ કરતાં કહ્યું હતું કે જે રીતે તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ના નારો ગુંજવ્યો હતો એ જ રીતે તેમણે ડૉક્ટરોને અને હેલ્થ કૅર સાથે સંકળાયેલા વ્યાવસાયિકોને ‘સર્વ ઇન્ડિયા’નો નારો આપવો જોઈએ.
વડા પ્રધાને નીતા અંબાણીનાં કાયોર્ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘એક ઘણી જૂની હૉસ્પિટલને આજે નવી જિંદગી મળી છે. આ હૉસ્પિટલની જેમ જ ભારતનો કાયાકલ્પ પણ સંભવ છે.’
આ પ્રસંગે આભારવિધિ કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘આ પ્રસંગે હું મારા પિતા ધીરુભાઈને નમ્રતાપૂર્વક યાદ કરું છું. આ હૉસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકાની સેવા કરશે એનું અમે વચન આપીએ છીએ. અમે આ હૉસ્પિટલને શ્રેષ્ઠ હૉસ્પિટલોમાંની એક બનાવવાના પ્રયત્ન કરીશું.’