મુંબઈ અનલૉક 1.0ના પહેલા દિવસે બસો દોડી, ઑફિસ-દુકાનો ખૂલી
દાદાનાં દર્શન ક્યારે? રાજ્યમાં ગઈ કાલથી અનલૉક-1નો પ્રારંભ થયો હતો. ઑફિસ, રેસ્ટોરાં અને શૉપિંગ મૉલ ખૂલી ગયાં છે. જોકે રાજ્યમાં હજી ધર્મસ્થાનકોને ખોલવાની પરવાનગી આપવામાં નથી આવી. શહેરના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પાસે પોલીસે મૂકેલાં બૅરિકેડ્સ (તસવીર: પી.ટી.આઇ.)
મુંબઈ અનલૉક 1.0ના પહેલા દિવસે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બેસ્ટની બસો સામાન્ય લોકો માટે દોડી હતી. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને લોઅર પરેલમાં આવેલી ઑફિસો સાથે દાદર, કોલાબા, કુર્લા તથા ફોર્ટ સહિતના વિસ્તારોમાં મહત્ત્વની માર્કેટો ખૂલી હતી.
ADVERTISEMENT
બે મહિના કરતાં વધુ સમયગાળા બાદ ઑફિસો ખૂલતાં શહેરના રસ્તા પર જોવા મળ્યો ટ્રાફિક જૅમ (તસવીર: પી.ટી.આઇ.)
મહારાષ્ટ્રમાં બાવીસમી માર્ચથી લૉકડાઉન કરવામાં આવ્યા બાદથી મુંબઈમાં બેસ્ટની બસો બંધ કરવામાં આવી હતી જે ગઈ કાલે સામાન્ય લોકો માટે ફરી દોડતી થઈ હતી. રાજ્ય સરકારે ૩૦ જૂન સુધી લૉકડાઉન વધાર્યું છે, પરંતુ ‘મિશન બિગિન અગેઇન’ના ભાગરૂપે ૧ જૂને ત્રણ તબક્કામાં છૂટછાટ આપવાની ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી હતી. ગઈ કાલે ત્રીજા તબક્કામાં ઑફિસો ૧૦ ટકા સ્ટાફ સાથે ખોલવાની પરવાનગી અપાઈ હોવાથી મોટી સંખ્યામાં ઑફિસો અને માર્કેટ ખૂલી હતી.
ઑફિસ જવા માટે બસની લાંબી લાઇનમાં ઊભા રહેલા મુંબઈગરાઓ (તસવીર: પી.ટી.આઇ.)
બેસ્ટના નિવેદન મુજબ ગઈ કાલે ૨૧૦૦ બસ રસ્તા પર દોડી હતી. પહેલાં સરકારી કર્મચારીઓ અને અત્યંત જરૂરી કામકાજ માટેના કર્મચારીઓ માટે ૨૫૦ બસો દોડાવાતી હતી. પ્રાઇવેટ કંપનીનો સ્ટાફ અને ઑફિસ-દુકાન-માર્કેટ ધરાવતા લોકો કામકાજના સ્થળે જઈ શકે એ માટે વધુ ૧૮૦૦ બસ દોડાવાઈ હતી જે નવા નિર્દેશ આવે ત્યાં સુધી ચાલુ રહેશે.