સાયન-ચૂનાભઠ્ઠીની શ્રી ક્રિશ્નલયા સોસાયટીમાં નવરાત્રિની અનોખી ઉજવણી
કોરોના-યોદ્ધાઓના પગ ધોઈને તેમનું બહુમાન કરાય છે અને તેમના હાથે આરતી કરાવાય છે
સાયનમાં ચૂનાભઠ્ઠીસ્થિત શ્રી ક્રિશ્નલયા સોસાયટી છેલ્લાં ૪૩ વર્ષોથી નવરાત્રિની ઉજવણી કરે છે. આ વર્ષે કોરોના કાળની નવરાત્રિ હોવાથી કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને કંઈક અનોખી રીતે આ સોસાયટી દ્વારા ઊજવાઈ રહી છે. સાદાઈથી ઊજવાઈ રહેલી નવરાત્રિમાં ગરિમાની એક ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. ક્રિશ્નલયા પરિવારે આ વર્ષે ઋણસ્વીકાર નવરાત્રિનું આયોજન કર્યું છે. ઋણસ્વીકાર, સમાજનાં એ વિભિન્ન અંગોનો જેમણે કોરોના મહામારી સામેના જંગમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી, ઋણ સ્વીકાર એ સર્વેનો જે પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર દિવસ-રાત ચોવીસ કલાક ખડે પગે ઊભા છે તેમના પગ ધોઈને ભાવુક થતાં દૃશ્યો અહીં જોવા મળે છે.
૯ વિવિધ ક્ષેત્રના યોદ્વાઓનું સન્માન...
ADVERTISEMENT
અનોખી નવરાત્રિ વિશે માહિતી આપતાં અહીંના રહેવાસી આશિષ કામદારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના વિરુદ્ધની લડાઈમાં જેમણે પોતાના પ્રાણ ખોયા તેમના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી પોલીસ વિભાગના પ્રતિનિધિ તરીકે માટુંગા પોલીસ સ્ટેશનના સાત પોલીસ કર્મચારી દ્વારા આરતી કરાવી તેમને સન્માનપત્ર આપ્યાં. સોસાયટી હજી આગળ સોસાયટીના વૉચમેનો, મહાનગરપાલિકાની કચરો લઈ જતી ગાડીના કર્મચારીઓ, જાહેર પરિવહન સેવાના કર્મચારીઓનું વિવિધ દિવસે સન્માન કરશે.’
સાયન શ્રી ક્રિશ્નલયા હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અમિત શાહે મિડ-ડે સાથે વાત કરતા કહ્યું હતું કે, દર વર્ષે અમે નવરાિત્રની ઉજવણી કરીએ જ છીએ પણ આ વખતે કોરોનાને લીધે નિયંત્રણો વચ્ચે તમામ ગાઇડલાઇનનું પાલન કરીને અલગ રીતે ઉજવણી કરવાનું અમે નક્કી કર્યું હતું.
એન્ટ્રી પર નિયંત્રણ
આ વિશે સોસાયટીના અન્ય રહેવાસી પ્રજય નરસાનાએ કહ્યું હતું કે ‘ક્રિશ્નલયા પરિવાર નવ દીવા નવ દિવસના આયોજનમાં દરરોજ એક દીવો માતાજી સમક્ષ કોરોના લડવૈયાઓના સ્વાસ્થ્યની અને તેમની સુરક્ષાની પ્રાર્થના માટે કરે છે. આપણા લડવૈયાનું કશું અહિત નહીં થવા દેતા એવી પ્રાર્થના માતાજી પાસે કરવામાં આવે છે. સોસાયટીમાં ૧૦૫ ફ્લૅટમાંથી ૯૮ ફ્લૅટમાં ગુજરાતી પરિવારો રહે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સોસાયટીએ સોસાયટીના ફક્ત ૧૫ રહેવાસીઓને જ નીચે આવીને કાર્યક્રમમાં જોડાવાની અનુમતિ આપી છે જ્યારે અન્ય રહેવાસીઓએ તેમની વિન્ડોથી અને સોસાયટીના ગ્રુપ પર મોકલેલા વિડિયોથી કાર્યક્રમને માણવાનો હોય છે. માતાજીની આરતી સિવાય અન્ય કોઈ કાર્યક્રમો રાખવામાં આવ્યા નથી.’
શ્રી ક્રિશ્નલયા પરિવાર નવરાત્રિના નવ દિવસ વિવિધ ક્ષેત્રના કોરોના યોદ્વાઓને આમંત્રિત કરાય છે. એ અનુસાર પહેલા દિવસે બીએમસીમાં સેવા આપતી ૪ આરોગ્ય સેવિકાઓના પગ ધોઈ, શ્રીફળ અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું.
- આશિષ કામદાર, સોસાયટીના રહેવાસી