8 જાન્યુઆરીના ભારત બંધમાં શિવસેનાએ પણ કૂદકો માર્યો
સીએસએમટી નજીક મુંબઈ પત્રકાર સંઘમાં ટ્રેડ યુનિયન નેતાઓ સાથે સંજય રાઉતે બંધમાં જોડાવાની જાહેરાત કરી હતી. (તસવીર : આશિષ રાજે)
કેન્દ્ર સરકારના કામગાર વિરોધી નીતિના વિરોધમાં કામગાર સંગઠનોએ ૮ જાન્યુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે, જેમાં શિવસેનાની ભારતીય કામગાર સેના પણ સહભાગી થશે. શિવસેના અને ભારતીય કામગાર સેના આ બંધમાં સક્રિયપણે સહભાગી થવાની હોવાથી આ બંધની તીવ્રતા વધવાની શક્યતા જોવાઈ રહી છે.દિલ્હીમાં ૨૦૧૯ની ૩૦ સપ્ટેમ્બરે દેશભરનાં કામગાર સંગઠનોના અધિવેશનમાં ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. રાજ્યમાં કામગાર સંગઠનોની સંયુક્ત સમિતિ દ્વારા બંધની તૈયારી અને નિયોજન ચાલી રહ્યાં છે. શિવસેના પ્રેરિત ભારતીય કામગાર સેના પણ આ સમિતિની મેમ્બર છે. કેન્દ્ર સરકારની કામગાર વિરોધી અને જન વિરોધી નીતિના વિરોધમાં એલાન કરાયેલા ભારત બંધમાં શિવસેના અને ભારતીય કામગાર સેના સામેલ થવા બાબતે ગઈ કાલે મરાઠી પત્રકાર સંઘમાં બોલાવાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત અને ભારતીય કામગાર સેનાના અધ્યક્ષ સૂર્યકાંત મહાડિક હાજર રહ્યા હતા.
આ સમયે સંજય રાઉતે કહ્યું હતું કે દેશભરમાં કામગારોના ન્યાય-હક માટે અમે સાથે છીએ. દેશમાં ઉદ્યોગ-ધંધા બંધ પડી રહ્યા હોવાથી બેરોજગારી વધી રહી છે.
ADVERTISEMENT
કામગારોના દેશવ્યાપી બંધને શિવસેના ઉપરાંત કૉન્ગ્રેસ, એનસીપી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષ, શેતકરી કામગાર પક્ષ, ભારતીય કમ્યુનિસ્ટ પક્ષ વગેરે રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. આ બંધમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કર્મચારી સંગઠનો, બૅન્ક, વીમા, પોર્ટ ટ્રસ્ટ, સંરક્ષણ, બીપીસીએલ, એચપીસીએલ, બીએસએનએલ, એમટીએનએલ, ટૅક્સી, રિક્ષા, એસટી, બેસ્ટ, આંગણવાડી, આશા વર્કર્સ, ઘર કામગાર, માથાડી કામગાર, મહાનગરપાલિકાના કામગાર વગેરે સંગઠનો સહભાગી થાય એવી શક્યતા છે.