શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોની જળસપાટી 5 વર્ષના તળિયે પહોંચી છે
સંજય ગાંધી નૅશનલ પાર્કમાં આવેલું વિહાર તળાવ સાત તળાવો પૈકીનું એક છે. તસવીર : રાણે આશિષ
મુંબઈમાં પાણીનો પુરવઠો પૂરો પાડતાં તળાવોની જળસપાટી નીચી જતાં શહેરને વરસાદની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. આમ તો આ અગાઉ પણ મુંબઈ પાણીના ઓછા જથ્થાનો અનુભવ કરી ચૂક્યું છે, પણ આ વર્ષે ચોમાસું પાછું ઠેલાતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. છેલ્લાં પાંચ વર્ષથી જુલાઈ સુધીમાં પાણીની સપાટી હંમેશાં વધી જતી હતી.
તમામ સાતેય તળાવો ૧.૧૪ લાખ એમએલડીનો સંયુક્ત જથ્થો ધરાવે છે, જે કુલ સંગ્રહક્ષમતા ૧૪.૪૭ લાખ એમએલડીના આઠ ટકા કરતાં નીચે છે. ગયા વર્ષે જૂનમાં તળાવની સપાટી નીચી હતી, પરંતુ મહિનાના છેલ્લા સપ્તાહે ભારે વરસાદના કારણે સપાટી વધવા લાગી હતી.
ADVERTISEMENT
બીજી જુલાઈ સુધી આ વર્ષે પાણીની સપાટી સૌથી તળિયે છે. ૨૦૧૫થી દર વર્ષે ચોમાસામાં વિલંબ થાય તો પણ પાણીનો જથ્થો વધે છે, પરંતુ આ વર્ષનો વિલંબ હજી સુધી પૂરો થયો નથી.
શહેરને પાણી પૂરું પાડતાં સાત તળાવો આ પ્રમાણે છે: પાલઘર – નાશિક બેલ્ટમાં મોદક સાગર, ભાત્સા, તાનસા, અપર વૈતરણા, મિડલ વૈતરણા અને સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસએનજીપી)માં તુલસી અને વિહાર. હવામાન વિભાગે શનિવારે અને રવિવારે પાલઘર તથા નાશિક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.