મુંબઈ : બાળકોને ટ્રેનમાં નો એન્ટ્રી
ફાઈલ તસવીર
રોગચાળાને પગલે લાગુ કરવામાં આવેલું લૉકડાઉન તબક્કાવાર રીતે હટાવવાના સિલસિલામાં ૨૧ ઓક્ટોબરથી મુંબઈની સબર્બન ટ્રેનોમાં મર્યાદિત કલાકોમાં મહિલાઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી હતી. એ છૂટ અનુસાર મહિલાઓ પ્રવાસ કરે ત્યારે તેમની સાથે નાના બાળકોને પણ લઈ જતી હોવાની રેલવે સત્તાવાળાઓએ નોંધ લીધી છે. તેથી મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના સત્તાતંત્રોએ હાલના સંજોગોમાં બાળકોને ટ્રેનમાં લઈ જવા ઉચિત નહીં હોવાની સૂચના સાથે બાળકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
હવે સબર્બન ટ્રેનોમાં મહિલાઓ સાથે બાળકો પ્રવાસ ન કરે તેની તકેદારી રાખવાનું કામ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને સોંપવામાં આવ્યું છે. તેથી દરેક ઉપનગરીય રેલવે સ્ટેશન પર આરપીએફના અધિકારીઓ હાજર રહેશે. હાલમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરેજ છે. પરંતુ સબર્બન ટ્રેનોમાં બાળકોનો પ્રવેશ રોકવાની કામગીરી આરપીએફના જવાનોને સોંપવામાં આવી છે. ગઈ ૨૧ ઓક્ટોબરથી સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યાથી રાત સુધી પ્રવાસની છૂટ આપવામાં આવી હતી.