મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર 60 કરતાં વધુ ભેંસો સાથેની ટ્રકો અટવાઈ ગઈ છે
ટ્રક
બકરી ઇદ માટે પ્રાણીઓનું વેચાણ માત્ર ઓનલાઇન કરવાના રાજ્ય સરકારના નિર્ણયને કારણે પશુઓ ભરેલી ટ્રકોને મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યની સરહદ પર અટકાવી હોવાનો અહેવાલ હાલમાં જ મિડ-ડેએ પ્રકાશિત કર્યો હતો.
જેમાં ૬૦ થી વધુ ભેંસ ધરાવતી ૬ થી ૮ જેટલી ટ્રક પણ અટવાયેલી છે અને ખેડૂતોને આ પ્રાણીઓના આરોગ્ય માટે ડર લાગી રહ્યો છે. એક ખેડૂતે તો આ ટ્રકમાં બે વાછરડા મરી ગયા હોવાનો આક્ષેપ પણ મુક્યો છે. આરેના પશુપાલન માલિક સરફરાજ પટેલ ભુજથી પોતાના ખેતર માટે ભેંસ લાવી રહ્યાં હતાં તે વખતે તેમની સાથે ભેંસો ભરેલી ટ્રકને પોલીસે મુંબઇ-ગુજરાત સરહદ પર તલાસારી પાસે અટકાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે બધી જ પરવાનગી હોવા છતાં તેમની ટ્રકને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દીધી નથી. પટેલે આ અંગે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ભૂખમરાને કારણે બે વાછરડા મરી ગયા હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે હવે મને મારી ભેંસની ચિંતા થાય છે. પ્રાણીઓ સાથેનો આ વ્યવહાર ક્રૂરતા છે. વિડિયેમાં તેમણે સરકારને ખેડૂતોને મોટા નુકસાનથી બચાવવા મધ્યસ્થી કરવા અપીલ કરી હતી. આરે દૂધ કોલોની દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ ફિરોઝ પટેલે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રની બહારથી લાવવામાં આવતા દૂધ આપતા પ્રાણીઓ મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર અટવાઈ ગયા છે. પાલઘર પોલીસે આ ટ્રકોને મંગળવારે સવારે ૪ વાગ્યાથી રોકી રાખી હતી જેના કારણે ટ્રક ચાલકો તેમજ પશુઓ પરેશાની ભોગવી રહ્યા છે.