મુંબઈ: MNSનું ટોલવધારો સામે મુલુંડ અને ઐરોલીમાં આંદોલન
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ગઈ કાલે ૧ ઑક્ટોબરથી મુંબઈના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર આવેલા ટોલનાકા પર ટોલમાં કરેલા વધારાનો વિરોધ કરાયો હતો. આંદોલનકારીઓએ કહ્યું હતું કે ‘હાલ અમે બહુ જ શાલિનતાથી હાથ જોડીને તમને એ ટોલવધારો પાછો ખેંચવા કહીએ છીએ, પણ જો તમે એ પાછો નહી ખેંચો તો અમે અમારી એમએનએસ સ્ટાઇલમાં ટોલનાકાનો તાબો લઈશું.’
એમએનએસના કાર્યકરોએ પહેલાં ઐરોલી ટોલનાકા અને ત્યાર બાદ મુલુંડ આનંદ નગર ટોલનાકા પર આ આંદોલન કર્યું હતું. આંદોલન કરી રહેલા એમએનએસના કાર્યકરોએ અનેક વાહનોને ટોલ ન ભરતાં જ જવા દીધાં હતાં. એમએનએસના કાર્યકરોએ નગર વિકાસ પ્રધાન એકનાથ શિંદે અને રાજ્ય સરકારના વિરોધમાં નારાબાજી કરી હતી. આંદોલન કરી રહેલા એમએનએસના પદાધિકારીએ કહ્યું હતું કે ‘આ જે ટોલવધારો કરાયો છે એ અચાનક કરાયો છે. હાલની જે મહામારીની પરિસ્થિતિ છે એ જોતાં તેમણે આ ટોલવધારો કરવો નહોતો જોઈતો. આજે અમે જે મોરચો કાઢ્યો છે એ ટોલવધારાના વિરોધમાં કાઢ્યો છે, નિષેધમાં કાઢ્યો છે. તમારી મૅનેજમેન્ટને કહો કે ટોલમાં કરાયેલો એ વધારો પાછો લે. ઍટ લીસ્ટ આવા સમયમાં તો આવો ભાવવધારો કરવો નહોતો જોઈતો. એમ છતાં, તમે ભાવવધારો કર્યો છે. એથી હાલ અમે બહુ સૌજન્યતાપૂર્વક હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે એ ટોલવધારો પાછો લો, પણ હવે પછી અમને એ હાથ છોડવા મજબૂર કરતા નહીં, નહીં તો પછી અમે આનાથી મોટું આંદોલન અમારી સ્ટાઇલમાં કરીશું.’