ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશેઃ રામલલાનાં દર્શન કરશે
ઉદ્ધવ ઠાકરે
શિવસેના પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવી છે. તેઓ એમની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારના સત્તાના ૧૦૦ દિવસ પૂરા થવાના પ્રસંગની ઉજવણી કરવા અયોધ્યા જશે.
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાઉતે કહ્યું કે ઠાકરે ૭ માર્ચે અયોધ્યા જશે અને એ મુલાકાત માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ‘અયોધ્યામેં જલ્લોષ! માર્ચ, ૭, ૨૦૨૦’એમ રાઉતે ટ્વીટમાં જણાવ્યું છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામલલાનાં દર્શન કરશે અને સરયૂ નદીના કિનારે આરતી પણ કરશે. દેશભરમાંથી હજારો શિવસૈનિકો પણ ત્યારે અયોધ્યા જશે. અમારા માટે આ આસ્થાનો વિષય છે અને કોઈએ પણ એને રાજકારણ સાથે સાંકળવું નહીં, એમ રાઉતે કહ્યું છે.
ઠાકરેએ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે અયોધ્યા જવું જોઈએ એવી બીજેપી દ્વારા કરાયેલી ટીકાનો જવાબ આપતાં રાઉતે કહ્યું કે રામમંદિર બાંધકામના મુદ્દે કૉન્ગ્રેસ અને એનસીપીની નેતાગીરીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. કૉન્ગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવારે રામમંદિર ચુકાદાને આવકાર્યો છે. રામમંદિર બંધાવું જ જોઈએ એવો તેમણે પણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે એવું મેં સાંભળ્યું છે. તેથી કોઈએ પણ યોગ્ય માહિતી મેળવવી જોઈએ અને પછી બોલવું જોઈએ.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 2019માં 2808 ખેડૂતોએ આત્મહત્યા કરીઃ સૌથી વધુ વિદર્ભમાં
મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી ભાગીદારો છે. ઠાકરેની અયોધ્યા મુલાકાતમાં સામેલ થવા માટે શિવસેનાએ કૉન્ગ્રેસ અને એનસીપીને પણ આમંત્રણ આપ્યું છે.