મુંબઈ : શૌચાલયની ટાંકીમાં પડીને ચાર વર્ષની બાળકીનું મૃત્યુ
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપરમાં શીતલ દામાની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટનામાં હજી પરિવારને ન્યાય નથી મળ્યો ત્યારે પાલિકાની બેદરકારીને લીધે મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં નવા બંધાયેલા શૌચાલયની પાણીની ટાંકીમાં પડીને ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થવાની ઘટના રવિવારે બની હતી. પાલિકાની બેદરકારીથી બાળકીનો જીવ ગયો હોવાનો આરોપ મૂકીને તેના પરિવારજનોએ પાલિકાના સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ કાશીમીરા પરિસરમાં નિલકમલ નાકા પાસે નવું શૌચાલય બાંધવામાં આવ્યું છે. એની બાજુની ખુલ્લી જગ્યામાં રવિવારે સાંજે નાનાં બાળકો ફટાકડા ફોડતા હતા. રાત્રે બધાં બાળકો ઘરે પાછાં આવી ગયાં હતાં, પરંતુ આસીફા મુસ્તફા અન્સારી નામની ચાર વર્ષની બાળકી ઘરે નહોતી આવી.
ADVERTISEMENT
પરિવારજનો અને પાડોશીઓએ આસીફાને ચારેબાજુ ખૂબ શોધી હતી, પરંતુ તેની કોઈ જગ્યાએથી ભાળ નહોતી મળી. આખરે સ્થાનિક રહેવાસીઓએ શૌચાલયની બાજુમાં આવેલી પાણીની ટાંકીમાં તપાસ કરતાં આસીફાનો મૃતદેહ એમાંથી મળ્યો હતો. કાશીમીરા પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. મૃતક આસીફાના પરિવારજનોએ શૌચાલય બાંધનારા કૉન્ટ્રૅક્ટરે જો પાણીની ટાંકીની ઉપર ઢાંકણું મૂક્યું હોત તો તેનો જીવ બચી જાત. આ બનાવ માટે કૉન્ટ્રેક્ટર અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારી જવાબદાર હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માગણી પરિવારે કરી છે. તેઓ પાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડને આ બાબતે એકાદ દિવસમાં મળશે.