મુંબઈ: ભાઈંદરનો 41 વર્ષનો ગુજરાતી ગુમ થયો
દિલખુશ જૈન
ભાઈંદર (વેસ્ટ)ના ઠાકુર ગલીમાં આવેલા શંખેશ્વર આર્કેડમાં રહેતા ૪૧ વર્ષના દિલખુશ જૈન એક ફેબ્રુઆરીએ તેમના ઘરેથી સવારે નીકળ્યા અને દરરોજની જેમ ગુલાલવાડીમાં કામ પર જાઉં છું એવું કહ્યું હતું, પરંતુ એ દિવસે મોડી રાત થવા આવી છતાં પાછા ન આવતાં પરિવારને ભારે ચિંતા થઈ હતી અને તેમણે બધે દિલખુશની તપાસ કરી પણ કોઈ ભાળ મળી નહોતી. અંતે તેમણે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. જોકે દિલખુશ જણાવ્યા વગર ક્યાં જતા ન હોવાથી તે ક્યાં છે એ વિશે પરિવાર ભારે ચિંતામાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: મુંબઈ: ઘરવાળીએ જ કાપ્યું ખિસ્સું
ADVERTISEMENT
બધે ઠેકાણે દિલખુશને શોધી રહ્યા છીએ એમ જણાવતાં દિલખુશના મિત્ર નિકુંજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલખુશ ગુલાલવાડીમાં ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરે છે. સ્વભાવે એકદમ સરળ અને શાંત પોતાના કામમાં વ્યસ્ત રહેતો દિલખુશ પહેલી ફેબ્રુઆરીએ સવારે સાડાનવ વાગ્યે ઘરેથી કામ પર જાઉં છું એમ કહીને નીકળ્યો હતો. ત્યાર બાદ તેને ફોન કરતાં સતત બંધ જ આવી રહ્યો છે અને મોડી રાત થવા આવી છતાં તેનો કોઈ પત્તો નથી લાગી રહ્યો. તેના બધા મિત્રો, કામ પર, સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી પણ કોઈને તેના વિશે કંઈ ખબર નથી. ભાઈંદર સ્ટેશને પણ CCTV કૅમેરાની તપાસ કરી પણ ત્યાં દેખાયા નથી. દિલખુશને બે બાળકો પણ છે અને તેનો પરિવાર ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે. એથી અમે બધા મળીને તેને ઠેકઠેકાણે શોધી રહ્યા છીએ.’