પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેની માહુલના રહેવાસીઓને મદદ
રાજ્યમાં તેમ જ બીએમસીમાં સત્તા પર આવવાથી લાંબા સમયથી ફૅક્ટરીમાંથી છોડવામાં આવતા ઝેરી કેમિકલ્સને કારણે તકલીફ વેઠી રહેલા માહુલના રહેવાસીઓનો વિવાદ ઉકેલવાની શિવસેનાને તક સાંપડી છે. રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે માહુલના રહેવાસીઓની સમસ્યાનો ઉકેલ લાવવા પગલાં લેવાંની શરૂઆત કરી છે.
૨૩ સપ્ટેમ્બરે હાઈ કોર્ટે બીએમસીને માહુલના રહેવાસીઓને ૧૨ અઠવાડિયાંના સમયગાળામાં ભાડાં અને ડિપોઝિટની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે બીએમસીએ હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતાં મામલો ફરી અટક્યો છે. જોકે કાનૂની મામલે પાછા પડેલા માહુલના રહેવાસીઓ હવે રાજ્યમાં તેમ જ બીએમસીમાં સત્તા પર આવેલી શિવસેના ભણી આશાની મીટ માંડી રહ્યા છે. માહુલમાં રહેનારાઓ પ્રદૂષિત વાતાવરણને કારણે અસંખ્ય બીમારીઓથી પીડાઈ રહ્યાં છે.
ADVERTISEMENT
આદિત્ય ઠાકરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને અધિકારીઓને માહુલના રહેવાસીઓ માટે લાંબા ગાળાનો ઉકેલ લાવવા જણાવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવસેનાએ માહુલના રહેવાસીઓને ટેકો આપી તેમને આ પ્રદૂષિત વાતાવરણથી દૂર કરવાની ખાતરી આપી હતી. ગયા અઠવાડિયે માહુલના રહેવાસીઓ મુખ્ય પ્રધાનને મળ્યા હતા જ્યારે તેમણે ઘટતું કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : મુંબઈ : હત્યા કર્યા પછી દીકરાએ દરગાહમાં જઈને અલ્લાહની માફી માગી
ઘર બચાઓ, ઘર બનાઓ આંદોલનના સંચાલક બિલાલ ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ માહુલના રહેવાસીઓએ હાલપૂરતી વિરોધની યોજના અભરાઈએ ચડાવી છે. અમે તેમને સમય આપીશું, પણ જો ત્યાં સુધીમાં અમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો અમે સંપૂર્ણ વિરોધ કરીશું.