બીજેપીના નગરસેવકે છેડ્યો વિવાદનો મધપૂડો
ADVERTISEMENT
સુધરાઈની ચૂંટણીઓની તૈયારીઓમાં લાગેલા કૉર્પોરેટર્સમાં મુલુંડના ‘ટી’ વૉર્ડ સમિતિના ચૅરમૅન અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવક વિશ્વનાથ મ્હસ્કેએ વિવાદનો મધપૂડો છેડતાં કુલ ૨૭૭ વૉર્ડમાંથી ૬૦ ટકા સીટો મહારાષ્ટ્રના લોકો માટે અનામત રાખવાની માગણી કરી છે. મુલુંડ જેવા ગુજરાતી બહુલ વિસ્તારના નગરસેવકે કરેલી આ માગણી બીજેપીને ભારે પડી શકે એવું અનેક ગુજરાતી અગ્રણીઓનું માનવું છે. તેમના જ પક્ષના નેતા તેમની આવી માગણીને કારણે ગૂંચવાયા છે.
મુલુંડમાં સૌથી વધુ લોકસંખ્યા ગુજરાતીઓની છે એવા વિસ્તારોમાં મહારાષ્ટ્રીયનનું શાસન લાવવા ઇચ્છતા વિશ્વનાથ મ્હસ્કેની દલીલ છે કે ‘કર્ણાટક સરકારનું ઉદાહરણ ધ્યાનમાં લેતાં આપણે પણ મહારાષ્ટ્રીયનો માટે સીટો રિઝર્વ કરવી જોઈએ. અત્યારે હાઉસમાં ૪૦ ટકા જેટલા મેમ્બરો મહારાષ્ટ્રીયન નથી જે બહુ જલ્ાદી ૫૦ ટકા જેટલા થઈ જશે અને કોને ખબર એ પછી તેઓ મુંબઈને યુનિયન ટેરિટરી બનાવવાની માગણી પણ તેઓ કરી શકે તેમ વિશ્વનાથ મ્હસ્કે પોતાની આ માગણીઓ મેયર શ્રદ્ધા જાધવ સમક્ષ મૂકવાના છે.
ચૂંટણી પહેલાં આવા વિવાદો ઊભા થવા સામાન્ય છે, પણ એની અસર બીજેપી પર કઈ રીતની આવશે એ વિશે મુલુંડના બીજેપીનાં નેતા અમિતા શાહ કહે છે કે ‘જાતિવાદને લઈને ક્યારેય ચૂંટણી લડી શકાતી નથી અને એક નેતા તરીકે તમારે પહેલાં દેશ, બાદ સમાજ અને સૌથી છેલ્લે વ્યક્તિ વિશેષ વિશે વિચારવાનું રહે છે. મને નથી લાગતું કે વિશ્વનાથ મ્હસ્કેના આવા વિવાદને લીધે બીજેપીને કોઈ નુકસાન થશે.’
બીજી તરફ બીજેપીના અન્ય નગરસેવક મનોજ કોટકે આ વિવાદ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.
રસ્તા બંધાવ કૃતિ સમિતિના શરદરામ સેજપાલ કહે છે કે ‘મુલુંડમાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે તો તેમને પ્રાથમિકતા મળવી જ જોઈએ. અહીં અનેક નગરસેવકો ગુજરાતી રહી ચૂક્યા છે અને જ્યાં સુધી ગુજરાતી-મરાઠીનો વિવાદ છે તો મહારાષ્ટ્ર અને ગુજરાત તો ભાઈઓ જેવા જ છે, ભારતનાં સંતાનો છે તો એક ભાઈને બીજા ભાઈથી આ અદેખાઈ કેવી?’
નીતા જોષી નામનાં ગુજરાતી ગૃહિણીએ વિશ્વનાથ મ્હસ્કેની વિચારસરણી પર મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જે રીતે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ વસે છે એટલા જ પ્રેમભાવથી ગુજરાતમાં મહારાષ્ટ્રીયન લોકો રહે છે. ક્યારેય ગુજરાતના લોકોને તેમનાથી કોઈ રીતની તકલીફ નથી થઈ તો વિશ્વનાથ મ્હસ્કેને શા માટે અન્ય લોકોની અદેખાઈ આવી રહી છે કે પછી તેમનો પોતાની લાયકાત પરથી વિશ્વાસ હટી ગયો છે?’
બીજી તરફ મુલુંડના વેપારી જયેશ ગડા કહે છે કે ‘લાગે છે કે બીજેપી પાસે ચૂંટણી લડવા માટે કોઈ યોગ્ય મુદ્દાઓ કે નેતા બાકી નથી રહ્યા તેથી આવા નકામા વિવાદો ઊભા કરીને લોકોનું ધ્યાન ખેંચવા માગે છે, પણ કદાચ તેમણે વિચાર્યું નહીં હોય કે આવા વિવાદો તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.’