બિઝનેસને ઉગારી લેવાનું મહત્વ
મની-પ્લાન્ટ
બિઝનેસમૅન મોટા ભાગે બિઝનેસની જરૂરિયાતો પૂરી કરવા માટે ધિરાણ લેતો હોય છે. દેખીતી વાત છે કે નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે કે પછી વર્કિંગ કૅપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે નાણાં ઊછીનાં લેતી વખતે તેણે પોતાની રીતે ગણતરીઓ કરી હોય. જોકે, દર વખતે તેની ગણતરીઓ સાચી પડે એવું જરૂરી નથી. ક્યારેક બાહ્ય પરિબળોને કારણે બિઝનેસને નુકસાન થતું હોય છે. દા.ત. ક્રૂડ ઑઇલના ભાવ વધવાથી ઉડ્ડયન ઉદ્યોગને અસર થાય છે, સ્ટીલના ભાવ ઘટવાથી સ્ટીલ ઉત્પાદક કંપનીઓનો નફો ઘટે છે, નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સને લીધે બૅન્કિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં આવે છે, નોટબંધીને લીધે ગ્રાહકોપયોગી વસ્તુઓના નર્મિાતાઓની તકલીફો વધે છે, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ આવવાથી અસંગઠિત ક્ષેત્રને અસર થાય છે, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ તથા અન્ય પરિબળોને લીધે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સંકટમાં આવે છે વગેરે વગેરે.
ADVERTISEMENT
મારું માનવું છે કે ઉપર જણાવેલાં પરિબળોને અકસ્માત જ કહેવાય અને અકસ્માત પર કોઈનું નિયંત્રણ હોતું નથી. એમાં નસીબ ખરાબ છે એવું જ કહેવું પડે. જોકે, વેપાર સાહસિક પહેલેથી જ જોખમી જણાતા પ્રોજેક્ટ હાથમાં લે તો એ તેની જ ભૂલ કહેવાય. ઉદ્યમીઓએ બિઝનેસના ગજા બહારના પ્રોજેક્ટ હાથમાં લીધાના ઘણા દાખલા છે. કેટલાક બિઝનેસ ચક્રો પ્રમાણે ચાલતા હોય છે. જો પ્રવાહ પલટાય તો સમસ્યા સર્જાઈ શકે છે એવું ઉદ્યમી પહેલેથી જ જાણતો હોય છે. એ બિઝનેસના હિસ્સેદારો એને સારા બિઝનેસને બગાડી નાખવા બદલ ક્યારેય માફ કરી શકે નહીં.
જોકે, કોઈને દોષ આપતાં પહેલાં એ જોવું જોઈએ કે નિષ્ફળતામાં ક્યાંય દગો થયો છે કે પછી પ્રતિકૂળ સંજોગો નિર્માયા છે કે પછી ઉદ્યમીની જ ગણતરીઓમાં ભૂલ હતી. જો છેતરપિંડી થઈ હોય તો એની સાથે સખત હાથે કામ લેવું જરૂરી છે. નસીબ ખરાબ હોય અથવા તો ગણતરીઓમાં ભૂલ હોય એ બન્ને સ્થિતિને છેતરપિંડીની સ્થિતિથી અલગ ગણવી જોઈએ.
પ્રામાણિકપણે ચાલતા બિઝનેસમાં પારદર્શકતા હોવી જરૂરી છે. સમસ્યામાંથી માર્ગ કાઢવા માટે ધિરાણકર્તાઓ, કર્મચારીઓ વગેરે હિસ્સેદારોની સામે શરણાગતિ સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઈએ. શક્ય છે કે તેમાંથી ઘણા લોકો બિઝનેસને ઉગારી લેવામાં મદદ કરવા તૈયાર હોય. બિઝનેસ ટકી રહે તો આખરે સમાજને જ લાભ થતો હોય છે. કોઈ પણ બિઝનેસ કામચલાઉ અને હલ લાવી શકાય એવી સમસ્યાઓને કારણે બંધ થવા દેવાય નહીં.
હવે પ્રશ્ન એ આવે છે કે કામચલાઉ અને હલ લાવી શકાય એવી સ્થિતિ કઈ અને કાયમી તથા હલ લાવી શકાય નહીં એવી સ્થિતિ કઈ. પ્રથમ પ્રકારની સ્થિતિ નાણાકીય નિષ્ફળતાની હોય છે. એમાં બૅલૅન્સ-શીટમાં હજી નેટવર્થ પૉઝિટિવ હોય છે, માત્ર રોકડપ્રવાહની તાત્પૂરતી સમસ્યા સર્જાઈ હોય છે. જો આવું હોય તો સંબંધિત પ્રોજેક્ટને પૂરો કરવા માટે પેમેન્ટ આપવા/ચૂકવવામાં થોડા સમય માટે વિલંબ કરી શકાય અને/અથવા વ્યાજદર ઘટાડી શકાય અને/અથવા ધિરાણકર્તા ઓછા પૈસા પાછા લેવા તૈયાર થઈ જાય અને/અથવા વધુ રોકાણ કરીને પરિસ્થિતિને સંભાળી લેવા તૈયાર થઈ જાય એ ઉપાયો યોગ્ય છે. એમ કરીને બિઝનેસને ઉગારી શકાય છે.
બીજી સ્થિતિ આર્થિક નિષ્ફળતાની છે, જેમાં નેટવર્થ નેગેટિવ થઈ ગઈ હોય છે અને બિઝનેસને ઉગારી લેવાની કોઈ આશા હોતી નથી. આવા સંજોગોમાં બિઝનેસને વહેલામાં વહેલી તકે સમેટી લઈને તમામ હિસ્સેદારોને તેમના હક પ્રમાણે નાણાં ચૂકવી દેવાં જોઈએ.
ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમોને હંમેશાં વ્યક્તિગત ધિરાણકર્તાઓ પાસેથી જમાનત વગરની લોન મળતી આવી છે. એમાં એકમના માલિકનું વ્યક્તિગત ચારિhય અને તેમના વડવાઓની પ્રતિષ્ઠા કામ કરતાં હોય છે. ભૂતકાળમાં લોકોએ પોતાની અંગત મિલકતો વેચીને લોકોનાં નાણાં ચૂકવીને સમાજનો વિશ્વાસ જીત્યો હોય છે એને લીધે લોકોને નાણાં મળતાં આવ્યાં છે. જોકે, હવે સમય બદલાઈ રહ્યો છે.
સારી છાપ જાળવી રાખવી કે પછી સમાજમાં બદનામ થવું એ બન્નેમાંથી લોકોએ પસંદગી કરવાની છે.
(લેખક સીએ, સીએફપી, અને એફઆરએમ છે)
mukesh@ghallabhansali.com