મિલન સબવેના રેલ ઓવરબ્રિજને મળી છઠ્ઠી ડેડલાઇન
એમએમઆરડીએ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે થયેલી મીટિંગનું ફળ મળ્યું છે. બન્ને પક્ષ સાંતાક્રુઝમાં આવેલા મિલન સબવે પરના રેલ ઓવરબ્રિજ (આરઓબી)નું પેન્ડિંગ કામ શક્ય એટલું જલદી આટોપવા તૈયાર થયા છે. પાંચ ડેડલાઇન મિસ કર્યા પછી હવે આ આરઓબીને જાહેર જનતાના વપરાશ માટે ૨૦૧૩ના ફેબ્રુઆરી મહિનામાં ખુલ્લો મૂકવામાં આવશે. એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ આ વિશે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું ‘આ આરઓબી માટેનું સૌથી મહત્વનું કામ છે ગર્ડર લગાવવાનું અને આ કામ ૧૫ ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે. અમને વિશ્વાસ છે કે આ આરઓબી ૨૦૧૩ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં મોટરચાલકો માટે ખુલ્લો મૂકી શકાશે.’
ADVERTISEMENT
ચોમાસા દરમ્યાન વેસ્ટર્ન રેલવેએ એમએમઆરડીએને ટ્રૅક વચ્ચેના આરઓબીને ટેકો આપવા માટે વધારાની કૉલમ કન્સ્ટ્રક્ટ કરવા માટે જણાવ્યું હતું. આ સમયે એમએમઆરડીએના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ શક્ય નથી, કારણ કે એને કારણે પ્રોજેક્ટમાં વધારે વિલંબ થઈ શકે છે. આમ છતાં રેલવે પોતાની ડિમાન્ડને વળગી રહેતાં એમએમઆરડીએને પોતાનું કામ અટકાવી દેવાની ફરજ પડી હતી. આ વિશે વાત કરતાં એમએમઆરડીએના અધિકારીએ કહ્યું હતું કે ‘અમે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ પાસે સ્પષ્ટતા કરી હતી કે ટ્રૅક વચ્ચે વધારાનો પિલર બનાવવાનું શક્ય નથી, કારણ કે ત્યાં જગ્યા જ નથી.’
એમએમઆરડીએએ ૨૦૦૮માં ૪૧.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૭૦૦ મીટર લાંબા આરઓબીનું બાંધકામ હાથ ધર્યું હતું. જોકે પુન:વસન, રેલવેની પરવાનગી, રાજકીય દબાણ અને રાજ ઠાકરેના ઉત્તર ભારતીય વિરોધી કૅમ્પેન પછી મજૂરોની કમી જેવાં પરિબળોને કારણે આ પ્રોજેક્ટ સતત વિલંબમાં મુકાતો જ ગયો છે.