મ્હાડા ભાડૂતોને આપશે ૧૫૦ કરોડ રૂપિયા
વરુણ સિંહ
ADVERTISEMENT
મુંબઈ, તા. ૧૧
પાંચ હજાર ભાડૂત ધરાવતી કૉલોનીનું રીડેવલપમેન્ટ સરળ કામ નથી, પણ જો પાસે પૂરતા પૈસા હોય તો બધું સરળતાથી ગોઠવાતું જાય છે. મ્હાડા હવે શહેરની સૌથી મોટી કૉલોની એવા વિક્રોલીના ટાગોરનગરના રીડેલપમેન્ટનું આયોજન કરી રહી છે. આ રીડેવલપમેન્ટ વખતે જગ્યા ખાલી કરવા દરેક ભાડૂતને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે અને આ રીતે કુલ ૧૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરશે.
આ પ્રોજેક્ટ દ્વારા મ્હાડા સામાન્ય માણસો માટે ૫૫૦૦ મકાનો ઊભાં કરશે અને એટલાં જ મકાનોનું બિલ્ડરો સાથે પચાસ-પચાસ ટકાની ભાગીદારી કરીને વેચાણ કરવામાં આવશે. જોકે મ્હાડાના કેટલાક અધિકારીઓને લાગે છે કે એજન્સીએ આખો પ્રોજેક્ટ પોતાની મેળે જ પાર પાડવો જોઈએ અને તમામ ૧૧,૦૦૦ મકાનોનો કબજો લઈને ડાયરેક્ટ લોકોને વેચાણ કરવું જોઈએ. મ્હાડા પહેલી વાર કોઈ ભાડૂતને આ રીતે નાણાકીય વળતર ચૂકવી રહી છે. મ્હાડાના એક સિનિયર અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ટાગોરનગર પ્લૉટના ૨૦૦ એકર વિસ્તારમાં રહેતા ત્રણ હજાર ભાડૂતોને ભાડૂતદીઠ પાંચ લાખ રૂપિયા આપવાનો પ્લાન ફાઇનલ છે.
આ પ્રોજેક્ટ માટેનાં ટેન્ડરો આવતા મહિને જાહેર કરવામાં આવશે. મ્હાડાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સતીશ ગવઈએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. મ્હાડાના એક સિનિયર ઑફિસરે કહ્યું હતું કે ‘આ પ્લૉટમાં ૨૯૬૬ ભાડૂતો રહે છે. અમે બિલ્ડરો અથવા તો કૉન્ટ્રૅક્ટરો સાથે પચાસ-પચાસ ટકાની ભાગીદારી કરીને આ વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવાના છીએ અને પછી ભાડૂતોને તેમની પ્રૉપર્ટી સોંપી દેવામાં આવશે અને મ્હાડાને નવાં ૫૫૦૦ મકાનો મળશે. રીડેવલપમેન્ટ પછી અત્યારે ૧૬૦-૧૮૦ ચોરસ ફૂટ વિસ્તારમાં રહેતા ભાડૂતોને પછી ૪૮૪ ચોરસ ફૂટ જેટલી જગ્યા મળશે.’
રિયલ એસ્ટેટના કેટલાક એક્સપર્ટને લાગે છે કે મ્હાડા આ પ્રોજેક્ટ કરીને મોટું જોખમ ઉઠાવી રહી છે અને એણે કૉન્ટ્રૅક્ટર કે બિલ્ડર સાથે રીડેવલપમેન્ટ કરીને નફાની વહેંચણી કરવાને બદલે આખા પ્રોજેક્ટને પોતે જ ન્યાય આપવો જોઈએ. આ વિશે વાત કરતાં આ મ્હાડાના રિયલ એસ્ટેટ એક્સપર્ટે કહ્યું હતું કે ‘અમારી પાસે બધી મશીનરી છે અને ટાગોરનગરની જમીન પણ અમારી છે. અમારે કોઈ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ જેવી પરમિશન લેવાની પણ જરૂર નથી તો પછી અમે પોતાના દમ પર જ આ વિસ્તારનું રીડેવલપમેન્ટ કેમ ન કરીએ? જો આમ થશે તો સામાન્ય મુંબઈકરને પરવડી શકે એવા ઘરના વધારે વિકલ્પ મળી શકે છે.’
મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી