જો આપણે નહીં ભણાવીએ તો હવે પાકિસ્તાનીઓ જ એ દિશામાં આગળ વધશે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ગઈ કાલના વિષયને આજે પણ આગળ વધારવાનો છે.
ADVERTISEMENT
કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી રઘવાયું થયેલું પાકિસ્તાન અત્યારે દુનિયાભરના દેશો સામે ભિખારી બનીને હાથ ફેલાવી રહ્યું છે, પણ એક વાત યાદ રાખજો, ભારતની હવે જે તાકાત છે એ તાકાતને જોઈને એની સામે નહોર ભરાવવાની હિંમત કરવા કોઈ રાજી નથી. એક તબક્કે તમારા દેશનું પૉપ્યુલેશન તમારી માટે શ્રાપ સમાન હતું પણ આજે એ જ પૉપ્યુલેશન તમારા માટે આશીર્વાદરૂપ બની ગયું છે તો સાથોસાથ તમારી સુખાકારી પણ હવે દુનિયાની નજરમાં આવી ગઈ છે. તમારો પર્ચેઝ પાવર પણ હવે જગત આખાને જોઈએ છે અને તમારી સગવડો ભોગવવાની માનસિકતા સાથે પણ દુનિયા કદમ મિલાવી રહી છે. આ જે માનસિકતા છે એ માનસિકતા વચ્ચે જગત આખાને ખબર છે કે એક વખત જો ભારતનો જાકારો સાંભળી લેશું તો એની સીધી અસર વાર્ષિક ટર્નઓવર પર દેખાશે. સ્વાર્થ છે આ, પણ એમાં કશું ખોટું નથી. સ્વાર્થ વિના સગાં પણ જો તમારા ન રહેવાના હોય તો આ તો દુનિયાદારીની વાત છે અને એમાં તો સ્વાર્થ હોવો જ જોઈએ.
પાકિસ્તાનની હાલત ભિખારી જેવી થઈ ગઈ છે. આર્થિક પરિસ્થિતિ કંગાળ છે અને ખિસ્સા ખાલીખમ છે. તમને યાદ હોય તો થોડા સમય પહેલાં ન્યુઝ આવ્યા હતા કે ઇમરાન ખાને સરકારની મોંઘીદાટ કારો વેચીને એકવીસ કરોડ રૂપિયાની આવક કરી. માલ વેચવો ક્યારે પડે એ જરા વિચારજો. આપણે ત્યાં અનેક લોકો એવા છે જે હજી પણ પોતાની પહેલી ચીજવસ્તુ વેચતા નથી. હું તો એવા અનેક લોકોને ઓળખું છું જે પોતાનો મોબાઇલ ફોન પણ વેચતા નથી. નવા પંદર ફોન ઘરમાં આવી ગયા હોય તો પણ આગલા ચૌદ ફોન પણ એના ઘરમાં જ હોય અને એ પણ ચાલુ અવસ્થામાં. ગઝલ સિંગર પંકજ ઉધાસ પાસે આજે પણ એની પહેલી કાર અકબંધ અવસ્થામાં તેમના ઘરે પાર્ક થયેલી પડી છે.
કહેવાનો અર્થ એ કે જો તમે વિકાસ કરતાં હો તો ખર્ચ પર કાપ મૂકવાની આવશ્યકતા ઊભી થતી નથી. પાકિસ્તાન પાસે વિકાસ નામે કશું નથી અને વિકાસ નથી એટલે જગતના એક પણ દેશને એની સાથે ઊભા રહેવામાં રસ નથી. ગલીમાં રહેતું ડૉગી પણ જો તમે નિયમિત હડધૂત કરતાં હશો તો એ પણ તમારી સામે ભસવાની તસદી લેતું નથી.
આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?
પાકિસ્તાનની કફોડી હાલત એના આતંકપ્રેમી સ્વભાવના પાપે છે. મઝહબના નામે દુઃખની વાવણી કરનારાઓના હિસ્સામાં દુઃખ જ આવતું હોય છે. કાશ્મીરમાં જે આતંક ફેલાવવાનું કામ પાકિસ્તાને કર્યું હતું એ આતંકની દુકાન હવે બંધ થઈ ગઈ છે એટલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે અને રેડાઈ રહેલા એ તેલમાં બની બેઠેલા મઝહબપ્રેમીઓ પોતાના ઉલ્લુઓ તળી રહ્યા છે. જો પાકિસ્તાન હજી પણ નહીં જાગે તો આવતી કાલે સવારે એવું બનશે કે દેશમાં બળવો થશે અને પાકિસ્તાનવાસીઓ ભારતમાં ભળવાની જીદ લેશે. વાત જૉક જેવી ભલે લાગે, પણ આ દિવસ દૂર નથી એ પણ નગ્ન વાસ્તવિકતા છે.