જાસૂસીના યુગનો પ્રારંભ ચાણક્યકાળમાં થયો અને એનો જશ પણ ચાણક્યને જાય છે
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
મગધ પર હુમલો કરવામાં માર ખાનારા ચાણક્યને ક્યારેય એવું લાગ્યું જ નથી કે એ હાર ચંદ્રગુપ્ત મૌર્યની હતી. તેણે આ હારને પોતાની જ ગણી છે અને એ હારમાંથી જે કંઈ શીખવાનું હતું એ બધું તેણે જ ગ્રહણ કર્યું. જે લીડર હારને પોતાની ગણે એ લીડર હંમેશાં વેંત ઊંચો રહે અને હંમેશાં જીત તેને આધીન બને. આજના સમયમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે, પ્રસ્તુત છે. જો તમે એવું ધારતા હો કે હાર તમારી હોય જ નહીં તો પછી જીત તમારી ક્યારેય બને જ નહીં. હાર હંમેશાં પોતાની અને જીત હંમેશાં સાથીની. આવું માનનારા અને ધારનારાઓ જ વિશ્વના શ્રેષ્ઠ લડવૈયા પુરવાર થયા છે.
ADVERTISEMENT
કોઈએ કહ્યું છેને કે આપણે એવું ધારીએ છીએ કે પર્વત પછાડે છે; પણ પછાડવાનું કામ ક્યારેય પર્વત કરતો જ નથી, એ કામ તો એક નાનકડી કાંકરી માત્ર કરે છે અને એ કાંકરીનું જ ધ્યાન રાખવાનું છે. તમારી સેનામાં જો કાંકરી હોય તો એ નાનકડો પથ્થરનો કણ એટલે કાંકરી પણ નારાજ ન રહે એનું ધ્યાન રાખજો. જો એ ધ્યાન રાખવાનું ચૂકી ગયા તો એ તમારી આખી સેનાને પછાડવાનું કામ અજાણતાં કરી બેસશે અને એવા સમયે વાંક તમારા મિશનનો આવશે. ક્યારેય કોઈ મિશન અશક્ય કે અઘરું નથી હોતું, પણ એને અઘરું અને અશક્ય બનાવવાનું કામ તમારા સાથીઓ કરી બેસતા હોય છે. એવું જ્યારે પણ બને છે ત્યારે હકીકતમાં સાથીઓનો અસંતોષ જ જવાબદાર હોય છે.
મધ્ય કે કેન્દ્ર પર હુમલો કરવાને બદલે બાહ્ય સીમા પર મગધને ફોલી ખાવાની પહેલી રણનીતિ બનાવ્યા પછી ચાણક્યએ બીજી રણનીતિ બનાવી વિષકન્યાની અને એ પછી ત્રીજા નંબરની રણનીતિ બનાવી, જે હતી જાસૂસોની. એ પહેલાં ક્યાંય કોઈ રાજ્યમાં પગારદાર જાસૂસો નહોતા, પણ ચાણક્ય પગારદાર જાસૂસો લાવ્યા અને એ જાસૂસોએ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય માટે કામ કરવાનું શરૂ કર્યું. મગધની નાનામાં નાની કે પછી કહો કે મહત્વની કહેવાય એવી તમામ માહિતી ચાણક્ય પાસે પહોંચતી થઈ અને ચાણક્ય એનો ઉપયોગ આગળની રણનીતિ માટે કરવા માંડ્યા. આમાં કોઈ જાતની છેતરપિંડી નહોતી અને આ વાત મહાત્મા ગાંધીએ પણ સ્વીકારી છે. આ જ કારણસર મહાત્મા ગાંધીના પણ રહસ્ય-સચિવો હતા, જે લોકોની માનસિકતા અને તેમની મનોદશા જાણીને ગાંધીજીને વાત કરતા અને ગાંધીજી પણ એના આધારે પોતાની આગળની રણનીતિનું પ્લાનિંગ કરતા.
આ પણ વાંચો : તું તો ચાણક્ય જેવો મૂર્ખ છે : આ એક સંવાદે ચાણક્યને કઈ વાત શીખવી દીધી?
મિત્રો, યાદ રાખજો કે જગતમાં સૌથી ઘાતક અને ખતરનાક કોઈ હથિયાર હોય તો એ આ જાસૂસીનું હથિયાર છે અને એટલે જ ન્યુક્લિયર બૉમ્બ પર બૅન નથી મુકાયો, પણ જાસૂસી ન કરવા પર યુનાઇટેડ નેશન્સે સત્તાવર બૅન મૂક્યો છે અને જાસૂસી પ્રતિબંધિત ગણવામાં આવી છે. અલબત્ત, એ પછી પણ આ કામ થઈ રહ્યું છે એ હકીકત છે અને એ પણ હકીકત છે કે જ્યાં સુધી સીમારેખાઓ રહેશે ત્યાં સુધી એ રહેશે.