મુરલી મનોહર જોશીએ તેમના સમર્થકોને પત્ર લખ્યો: આ પાર્ટીના સંસ્કાર નથી
ડૉ. મુરલી મનોહર જોશી
લોકસભા ચૂંટણીના અને પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને કાનપુરના સાંસદ ડૉ. મુરલી મનોહર જોશીના નામનો એક લેટર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં જોશીએ કાનપુરની પ્રજાને મન કી બાત કહી છે. વાયરલ લેટરમાં તેમણે લખ્યું છે, મારા પ્યારા કાનપુરના મતદાતા. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવે સલાહ આપી છે કે કાનપુર અને આ સિવાય મને ક્યાંય પણ ચૂંટણી લડવી જોઈએ નહીં.
હાલ કાનપુરના વોટરોની વચ્ચે આ લેટર ચર્ચાનો વિષય બન્યો છે. આ બધાની વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે તમે અડવાણી અને મુરલી મનોહર જોશીનું અપમાન કર્યું છે.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોમવારના રોજ ભાજપના સંગઠન મહાસચિવ રામલાલે મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવવામાં આવશે નહીં. રામલાલે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે તમે પાર્ટી ઑફિસ આવી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરો.
આ પણ વાંચો : બાળકો સાથે રાહુલ ગાંધી લાગે છે ક્યૂટ, જુઓ આ ફોટોઝ
જોકે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશીએ સીધી રીતે નકારી દીધી. જોશીએ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ના લડાવવાનો નિર્ણય લેવાયો છે તો કમસે કમ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અમને આવીને જણાવવું જોઈએ. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પાર્ટી ઑફિસ આવીને એની જાહેરાત કરશે નહીં એમ સૂત્રોએ જણાવ્યું છે.