અજિત ડોભલની હત્યાનું કાવતરું
જૈશ-એ-મુસ્તફાના વડા હિદાયતુલ્લા મલિકે
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘટકરૂપ જૂથ જૈશ-એ-મુસ્તફાના વડા હિદાયતુલ્લા મલિકે સ્ફોટક માહિતી આપી હતી. ગઈ ૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવેલા હિદાયતુલ્લાએ પૂછપરછ કરતાં પોલીસ તથા અન્ય તંત્રોના અધિકારીઓને કાશ્મીર અને દિલ્હીનું સુરક્ષા તંત્ર ચકરાવે ચડી જાય એવી વિગતો જણાવી હતી. હિદાયતુલ્લા કેટલાક વખતથી જમ્મુના ભટિંડી વિસ્તારમાં રહેતો હતો, પરંતુ ૬ ફેબ્રુઆરીએ સંજવાની વિસ્તારમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
સુરક્ષા તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘હિદાયતુલ્લા મલિકે કહ્યું હતું કે તેણે દિલ્હીના સરદાર પટેલ ભવનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલની ઑફિસની વિડિયો રેકી કરી છે. આતંકવાદીઓના દિલ્હીમાં હાઈ વેલ્યુ ટાર્ગેટ્સને વીંધવાના આયોજનના ભાગરૂપે પાકિસ્તાની હેન્ડલરે અજિત ડોભલની ઑફિસની વિડિયો રેકી કરવાની સૂચના આપી હોવાનું હિદાયતુલ્લાએ જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૯ની ૨૪ મેએ શ્રીનગરથી ઇન્ડિગો અૅરલાઇનના વિમાનમાં દિલ્હી પહોંચીને અજિત ડોભલની ઑફિસની વિડિયો રેકી કરી હોવાનું મલિકે જણાવ્યું હતું. હિદાયતુલ્લા મલિકે પૂછપરછ દરમ્યાન જમ્મુના સાંબા જિલ્લામાં જઈને ભારતની આંતરરાષ્ટ્રીય સરહદની પણ રેકી કરી હોવાનું જણાવ્યું હતું.’