તેલંગણામાં કોરોનાની રસી લીધાના કલાકો બાદ હેલ્થ કૅર વર્કરનું મોત
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે કોરોનાની રસી લેનાર તેલંગણાના એક હેલ્થ કૅર વર્કરનું બુધવારે મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે મૃત્યુ રસી લેવાથી થયું હોવાનું જણાતું નથી.
પબ્લિક હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરના ડિરેક્ટર ડૉ. જી. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે હેલ્થ કૅર વર્કરને મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે કુંતલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી અપાઈ હતી.
મંગળવારે રાત્રે અઢી વાગ્યે તેને છાતીમાં દુખાવો થયો હતો અને સવારે ૫.૩૦ વાગ્યે તેને જિલ્લા હૉસ્પિટલ લઈ જવાયો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
પ્રાથમિક તારણો સૂચવે છે કે મૃત્યુને રસી સાથે કશી લેવાદેવા હોય એમ જણાતું નથી. માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે એમ ડિરેક્ટરે જણાવ્યું હતું.