આજે ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનપ્રક્રિયા રવિવારે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે મંગળવારે મતગણતરી હાથ ધરાઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજાયેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી માટે ચૂંટણીપંચ તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના-સંક્રમણની સ્થિતિ જોતાં તકોદારીના ભાગરૂપે એનું પાલન કરવાનું રહેશે. જોવાનું એ રહે છે કે બીજેપી પોતાનો ગઢ સાચવી શકશે કે કૉન્ગ્રેસ વાપસી કરશે.
રાજ્યની ૬ મહાનગરપાલિકામાં સરેરાશ ૪૫.૬૪ ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ જૂનાગઢ મહાનગરપાલિકામાં ૫૧.૮૫ ટકા તો સૌથી ઓછું ૪૨.૫૧ ટકા મતદાન અમદાવાદમાં યોજાયું હતું. ત્યાર બાદ હવે મતગણતરી માટે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ગુજરાત કૉલેજ એલિસ બ્રિજ અને એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ, ગુજરાત યુનિવર્સિટીમાં મતગણતરી હાથ ધરાશે. આ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ૧૮ વૉર્ડની ૭૨ બેઠકની ગઈ કાલે યોજાયેલી ચૂંટણીમાં ૫૦.૭૫ ટકા મતદાન થયું છે, જેની શહેરમાં ૬ અલગ-અલગ ઠેકાણે મતગણતરી હાથ ધરાશે. એમાં વીરબાઈ મહિલા કૉલેજ, એ. એસ. ચૌધરી હાઈ સ્કૂલ, એસ. વી. વીરાણી હાઈ સ્કૂલ, પી. ડી. માલવિયા કૉલેજ, રણછોડદાસજી કમ્યુનિટી હૉલ એમ અલગ-અલગ જગ્યાએ વિવિધ વૉર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે.
સુરતમાં ૪૮૪ ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે. સુરતમાં ૪૫.૫૧ ટકા મતદાન થયું છે, જેની મતગણતરી પીપલોદ અને મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કૉલેજનાં બે મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવશે.
જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ૨૩૬ ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે, જેને ૪ સ્ટ્રૉન્ગરૂમમાં બંધ કરવામાં આવ્યાં છે. આવતી કાલે હરિયા કૉલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલમાં સ્ટ્રૉન્ગરૂમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.