કર્ણાટક: ફરી અસ્થિર થઈ કુમારસ્વામીની સરકાર, 3 ધારાસભ્યો BJPના સંપર્કમાં
ડીકે શિવકુમાર (ફાઇલ)
કોંગ્રેસ નેતા અને કર્ણાટકના જળ સંસાધન મંત્રી ડીકે શિવકુમારે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. શિવકુમારે કહ્યું કે રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે બીજેપી ઓપરેશન લોટસ ચલાવી રહી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓની સાથે રોકાયા છે.
આ દરમિયાન કોંગ્રેસના બીજેપી પર હુમલા ચાલુ છે. કર્ણાટક સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા બી. ગૌડાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી સરકારને પડદા પાછળથી અસ્થિર કરવાની કોશિશ કરી રહી છે.
ADVERTISEMENT
જોકે કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે કહ્યું, 'જુઓ, બીજેપીના નેતા કહી રહ્યા છે કે કર્ણાટકની હાલની સરકાર ફેઇલ થઈ ગઈ છે. પરંતુ એવું નથી. અમારા કેટલાક ધારાસભ્યો ગયા છે એ વાત સાચી છે. પરંતુ આ ધારાસભ્યો મંદિર ગયા છે, રજા પર ગયા છે કે પછી પરિવાર સાથે સમય વીતાવવા ગયા છે એ વાતની અમને જાણ નથી. કોઇએ પણ એવું નથી કહ્યું કે ધારાસભ્ય બીજેપીમાં સામેલ થઈને સરકાર તોડવા જઈ રહ્યા છે. તમામ ધારાસભ્યો હજુ સુધી અમારી સાથે જ છે.
સાથે જ તેમણે જણાવ્યું કે આજે મેં અમારી પાર્ટીના તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરી જેથી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં મુખ્યમંત્રી દ્વારા રજૂ થનારા બજેટ વિશે ચર્ચા થઈ શકે.
શિવકુમારે કહ્યું, 'રાજ્યમાં હોર્સ ટ્રેડિંગ ચાલુ છે. અમારા ત્રણ ધારાસભ્ય મુંબઈમાં એક હોટલમાં બીજેપીના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ સાથે રોકાયા છે. અમને ખબર છે કે તેમની વચ્ચે શું વાતચીત થઈ છે અને તેમને કેટલાની ઓફર કરવામાં આવી છે.' 2008માં કર્ણાટકની તત્કાલીન બીએસ યેદિયુરપ્પાની સરકારની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વિપક્ષના કેટલાક ધારાસભ્યોને દળ બદલવા માટે લાલચ આપવાને ઓપરેશન લોટસ કહેવામાં આવે છે.
ભૂતકાળમાં કોંગ્રેસને ઘણા પ્રસંગોએ સંકટમાંથી ઉગારીને પ્રતિષ્ઠા મેળવનારા શિવકુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર ભાજપ તરફનો ઝોક રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'અમારા મુખ્યમંત્રી ભાજપ પ્રત્યે વધુ ઉદાર છે. કાવતરાંની જાણ તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને કરી છે. તેમણે સિદ્ધારમૈયાને પણ આ વિશે જણાવ્યું છે.'
આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણની સંભાવના
ડીકે શિવકુમારે કહ્યું, "મુખ્યમંત્રી રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જો હું તેમની જગ્યાએ હોત તો 24 કલાકની અંદર આ વાતનો ખુલાસો કરી દેત. જોકે તેમણે ભરોસો દર્શાવ્યો છે કે ભાજપ પોતાના પ્રયત્નોમાં સફળ નહીં થાય." ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતાઓએ પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે તેમનો સંપર્ક કર્યો છે. જ્યારે બીજેપીએ આ આરોપોને રદિયો આપી દીધો છે.